દાંડિયાબજાર સ્થિત આશીર્વાદ ગણેશજીને 1 કરોડનું સોનાનું સિંહાસન અર્પણ થશે
આશીર્વાદ ગણેશજીની સ્થાપના 1963 માં બ્રહ્મલીન પુ.ડોંગરેજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી
વડોદરા : ગણેશોત્સવનો તા.૧૯ સપ્ટેમ્બર મંગળવારથી પ્રારંભ થઇ રહ્યો છે. તે પુર્વે સોમવારે દાંડિયાબજાર સ્થિત આશીર્વાદ ગણેશજી પંડાળમાં બાગેશ્વરધામ સરકારથી જાણીતા બાબા શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રીની પધરામણી થશે.
આ અંગે વાત કરતા શ્રીમંત એસવીપીસી ટ્રસ્ટના હરિશ ધુમાલે કહ્યું હતું કે 'વડોદરા સહિત વિશ્વભરમાં આશીર્વાદ ગણેશજીની નામના છે કેમ કે તેમની સ્થાપના ૬૧ વર્ષ પહેલા એટલે કે સન ૧૯૬૩માં બ્રહ્મલીન પુ.ડોંગરેજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી.
આ ટ્રસ્ટ દ્વારા કોઇ ફંડફાળો ઉઘરાવવામાં આવતો નથી પરંતુ દાનપેટીમાં ભક્તો દ્વારા જે ચઢાવો આપવામા આવે છે તેનાથી જ અત્યાર સુધીમાં શ્રીજીને સોના અને હિરાના દાગીના સહિતની ભેંટ ધરાવવામા આવી છે. જેમ કે વર્ષ ૨૦૦૪માં તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સુવર્ણ મુગટ અર્પણ કરવામાં આવ્યો હતો. ૨૦૦૬મા એલ.કે.અડવાણી દ્વારા હિરજડીત મુગટ, ભૈયુજી મહારાજના હસ્તે ૨૦૧૩માં સોનાનો મુગટ, ૨૦૧૬માં સર સંઘચાલક મોહન ભાગવત દ્વારા સોનાની જનોઇ અર્પણ કરાઇ હતી. હવે એક ભક્ત દ્વારા આપવામાં આવેલ એક કીલો સોનું અને દાનપેટીમાં મળેલા સોનાના ઘરેણા દ્વારા સોનાનું સિંહાસન તૈયાર કરવામાં આવ્યુ છે બાબા બાગેશ્વરધામના હસ્તે સોમવારે અર્પણ કરવામાં આવશે.