વાઘોડિયા રેન્જના કુમેઠા ગામે કૂતરાએ મોરને બચકુ ભરતાં સારવારમાં ૩૨ ટાંકા લેવા પડયા
ઘા એટલો ઊંડો હતો કે મોરનું હૃદય દેખાતું હતું : ઊંડો ઘાથી સર્જરી પણ માંડ થઇ શકી
વડોદરા.વડોદરા જિલ્લાના વાઘોડિયા રેન્જના કુમેઠા ગામે રાષ્ટ્રીય પક્ષી મોરને કૂતરાએ બચકું ભરી લેતા લોહીલુહાણ મોરની તાત્કાલિક સર્જરી કરીને તેનો જીવ બચાવી લીધો હતો.
ગઇ તા.૨૪ના રોજ મોર પર કૂતરાએ ત્રાટકીને બચકું ભરી લેતા તેની જાણ સ્થાનિક વનરક્ષકે કરૃણા એમ્બ્યુલન્સને ૧૯૬૨ નંબર પર ફોન કર્યો હતો. વડોદરા કરૃણા એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. જંગલ ખાતાએ કરૃણા એમ્બ્યુલન્સની ટીમને ઘાયલ મોર સોંપ્યો હતો. કૂતરાએ જોરથી બચકું ભરતા ઘા એટલો ઊંડો હતો કે મોરનું હૃદય દેખાતું હતું. ઘા ખૂબ ઊંડો હોવાથી સર્જરી કરવી પણ મુશ્કેલ હતી. જો કે ડોકટરોએ સાવચેતી પૂર્વક સર્જરી કરી હતી. મોરને ૩૨ ટાંકા લેવામાં આવ્યા હતા.
સહીસલામત ડ્રેસિંગ કરી મોર જંગલ ખાતાને પરત સોંપી દીધો હતો. હાલ મોરની સ્થિતિ સામાન્ય છે, અને હજી ડ્રેસિંગ સહિતની સારવાર ચાલુ છે. રાજ્યના પશુપાલન વિભાગ અને કરૃણા એમ્બ્યુલન્સ દ્વારા જિલ્લામાં અબોલ ૪૩૫૮૩ પશુ પક્ષીઓની સારવાર કરાઇ છે. જેમાં સર્જિકલના ૨૨૨૨૪ પ કેસ નોંધાયા છે. જ્યારે ગાયનેકોલોજીકલના ૨૪૯ કેસ હતા.