ઘડિયાળી પોળની દુકાનમાં કારીગરનો ફાંસો ખાઇને આપઘાત
વેકેશન હોવાથી પરિવાર વતન યુ.પી. ગયો હતો
વડોદરા.ઘડિયાળી પોળની દુકાનમાં કારીગરે ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે વાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાડી પોલીસને મેસેજ મળ્યો હતો કે, ઘડિયાળી પોળ અંબા માતાના મંદિર પાસે ખુશબુ બેંગલ્સમાં એક કારીગરે આપઘાત કર્યો છે. જેનું નામ શિવકુમાર રામમૂરત ગુપ્તા (ઉં.વ.૩૫) હોવાનું જાણવા મળ્યું હતું. મરનાર ઘડિયાળી પોળ પટોડિયા પોળમાં રહેતો હતો. જે અંગે વાડી પોલીસે સ્થળ પર જઇને તપાસ કરતા જાણવા મળ્યું કે, શિવકુમાર છેલ્લા ૧૦ વર્ષથી વડોદરામાં રહે છે. તે ખુશબુ બેંગલ્સ નામની દુકાનમાં કારીગર તરીકે કામ કરતો હતો. તેની પત્ની, બાળકો અને ભાઇ પણ તેની સાથે રહેતા હતા. હાલમાં વેકેશન હોવાથી તેનો પરિવાર વતન યુ.પી.માં ગયો હતો. તે દરમિયાન શિવકુમારે દુકાનમાં જ ફાંસો ખાઇ લીધો હતો. આજે સવારે શિવકુમારને શોધવા તેનો ભાઇ નીકળ્યો હતો. તે દરમિયાન દુકાનમાં જ તે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. વાડી પોલીસે આપઘાતનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે.