દિવાળીના બે દિવસમાં આગના 50 બનાવઃ બહુમાળી બિલ્ડિંગના આઠમા માળે આગથી અફરાતફરી
વડોદરાઃ દિવાળીના તહેવાર દરમિયાન આગ લાગવાના ૫૦ થી વધુ બનાવો બનતાં ફાયર બ્રિગેડને દોડધામ કરવી પડી હતી. આગમાં બે ફ્લેટ,દુકાન અને કોઠી કચેરી ખાતેના ડો. બી આર આંબડકર સ્મૃતિ ભવનનો સમાવેશ થાય છે.
દિવાળી દરમિયાન ફટાકડા તેમજ અન્ય કારણોસર આગ લાગવાના બનાવોમાં વધારો થયો છે.બે દિવસ દરમિયાન ફાયર બ્રિગેડને આગ લાગવાના ૫૦ થી વધુ કોલ્સ મળ્યા છે.જે પૈકી મોટાભાગના બનાવ ફટાકડાને કારણે બન્યા છે.
ફાયર બ્રિગેડના સૂત્રોએ કહ્યું હતું કે,કોઠી ખાતે કલેક્ટર કચેરીના પ્રાંગણમાં આવેલા ડો. બી આઇ આંબેડકર સ્મૃતિ ભવનના ત્રાજા માળે આજે સવારે આગ લાગતાં ચાર ફાયર ફાઇટર કામે લાગ્યા હતા.આગમાં મોટાભાગનું રેકોર્ડ બચાવી લેવામાં આવ્યું હોવાનું ફાયર બ્રિગેડના અધિકારીએ કહ્યું હતું.
વારસીયાના દેવીનારાયણ ફ્લેટના પાંચમા માળે પણ આગ લાગવાનો બનાવ બન્યો હતો.જ્યારે,ગોત્રીના મકરંદ દેસાઇ માર્ગ પર શ્રીનાથજી સિન્ધી માર્કેટમાં પણ દુકાનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો.સયાજીપુરાના દત્તનગરના મકાનમાં સ્ટોર કરાયેલા ઘાસમાં તેમજ સિધ્ધનાથ તળાવ રોડ પર પાન પડીકી ગુટખાના ગોડાઉનમાં પણ આગના બે બનાવ બન્યા હતા.જ્યારે, ગોત્રી રોડ પર શ્રીનાથજી સિંધી માર્કેટમાં કપડાંની બંધ દુકાનમાં આગનો બનાવ બનતાં ફાયર બ્રિગેડે આગ કાબૂમાં લીધી હતી.
માંજલપુરમાં કોમ્પ્લેક્સના આઠમા માળે આગ લાગતાં અફરાતફરી
માંજલપુરના એક કોમ્પ્લેક્સમાં રાતે લાગેલી આગના બનાવને કારણે ભારે અફરાતફરી સર્જાઇ હતી.
માંજલપુરના ઇવા મોલ સામે આવેલા ડ્રીમ આઇકોનના આઠમા માળે રહેતા કોર્પોરેશનના અધિકારી કૌશિકભાઇ પરમાર કોઇ કારણસર બહાર ગયા હતા ત્યારે આગ લાગી હતી.જેથી પરિવારનો બચાવ થયો હતો.
આગ લાગવાનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી.પરંતુ આગમાં મોટાભાગની ઘરવખરી ખાક થઇ ગઇ હતી.બનાવને પગલે લોકોના ટોળાં જામ્યા હતા અને ફાયર બ્રિગેડે પણ બહુમાળી ઇમારત માટે વસાવેલી સ્નોરકેલનો ઉપયોગ કર્યો હતો.