વાઘોડિયાના અલવા ગામની સોસાયટીમાંથી ૫.૮૦ લાખની ચોરી
ગૃહિણી પિયરમાં રોકાઇ અને ચોર સોના ચાંદીના દાગીના લઇ ગયા
વડોદરા,વાઘોડિયાના અલવા ગામની આવા ગ્રીન સોસાયટીના બંધ મકાનને નિશાન બનાવી ચોર ટોળકી ૫.૮૦ લાખના દાગીના ચોરી ગઇ હતી.
વાઘોડિયા તાલુકાના અલવા ગામની સીમમાં આવા ગ્રીન સોસાયટીમાં રહેતા નિકીતાબેન નીરૃજનભાઇ દેશવાલ ઘરકામ કરે છે. તેમના પતિ મરચન્ટ નેવીમાં સેકન્ડ એન્જિનિયર તરીકે નોકરી કરે છે. તેઓ છેલ્લા દોઢ વર્ષથી અલવા ગામે રહેવા આવ્યા છે. ગત તા.૧૪ મી એ નિકીતાબેનના સસરાને વતન હરિયાણા જવાનું હોવાથી તેઓ કાર લઇને ઘરના દરવાજા બંધ કરીને સાંજે ચાર વાગ્યે ઘરેથી રેલવે સ્ટેશન ગયા હતા. સસરાને ટ્રેનમાં બેસાડી તેઓ કારેલીબાગ સંગમ ચાર રસ્તા પાસે આવેલા પિયરમાં રોકાઇ ગયા હતા. તે દરમિયાન તેમના બંધ મકાનના બંને દરવાજાના લોક તોડીને ચોર ટોળકી સોનાના ૧૧ તોલા વજનના દાગીના તેમજ ૫૦૦ ગ્રામ ચાંદીના દાગીના મળી કુલ રૃપિયા ૫.૮૦ લાખની મતા લઇ ગઇ હતી. જે અંગે વાઘોડિયા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.