સમા કેનાલને સમાંતર ઊભાં થયેલા ૩૦ ઝૂંપડાં કોર્પોરેશને તોડી પાડયા
સયાજીની ગેટ પાછળથી, કીર્તિસ્તંભ પાસેથી અને છાણી રોડ પરથી દબાણ હટાવ્યા
વડોદરા,વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને સમા કેનાલની સમાંતર ઊભા થઇ ગયેલા ૩૦ ઝૂંપડાંના દબાણ તોડી પાડવામાં આવ્યા હતા.
ઓકટોબરની ગાઇડલાઇન મુજબ ઝૂંપડાં હટાવવાનું હમણા મુલતવી હતું, પરંતુ ઓકટોબર પૂર્ણ થતતાં જ કોર્પોરેશને આ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઝૂંપડાંઓને કારણે કેનાલમાં પણ ગંદકી ફેલાતી હતી અને તે હટાવવા અગાઉ રજૂઆતો કરાઇ હતી.
વડોદરામાં સયાજી હોસ્પિટલના પાછળના ગેટ જેલ રોડ પરથી કાલાઘોડા સુધી રોડની બંને બાજુ લારીઓ અને પથારાના જે દબાણ હતા, તે હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.
જેલ રોડ પર સયાજીના પાછલા ગેટ પરથી હોસ્પિટલમાં અંદર આવવા જવા તેમજ આ રોડ પરથી ભારદારી વાહનો સહિતનો ટ્રાફિક સતત ચાલુ રહેતો હોય છે અને તેના કારણે લારી-ગલ્લા-પથારાના દબાણો અવરોધરૃપ હોવાથી તે ખદેડવા જરૃરી બન્યા હતા. વોર્ડ નં.૧૩નો સ્ટાફ અને દબાણ હટાવતી ટીમે આ કામગીરી કરી હતી. એ જ પ્રમાણે રાજમહેલ ગેટથી કીર્તિસ્તંભ સુધીના રોડ પરથી પણ લારીઓ અને પથારા હટાવવાનું કામ હાથ ધરાયું હતું. અહીંથી આમલેટની બે લારી હટાવી હતી. પંડયા બ્રિજથી છાણી રોડ સુધી પણ દબાણ હટાવી આજના ઓપરેશનમાં દોઢબે ટ્રક માલ જપ્ત કર્યો હતો.