ઉપરવાસમાંથી પાણીની આવક થતા નર્મદા ડેમના ૩ ગેટ ફરી ખોલાયા
ઉપરવાસમાંથી ૧.૨૨ લાખ કયુસેક પાણીની આવક હાલ નદીમાં ૭૧૦૫૫ કયુસેક પાણી છોડાય છે
રાજપીપળા,નર્મદાડેમના ગેટ ૬ દિવસ પૂર્વે બંધ કરવામાં આવ્યા હતા, પરંતુ ઉપરવાસમાં પાણીની આવક થતા ૬ દિવસ બાદ ડેમના ૩ ગેટ ફરી ખોલવામાં આવ્યા છે જેના લીધે નદીમાં હાલ ૭૧૦૫૫ કયુકેસ પાણી ઠલાઇ રહ્યું છે. જો કે આના કારણે નીચાણવાળા વિસ્તારોને કોઇ અસર થશે નહિં.
હજી થોડા સમય પહેલા મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ થતા ગઇ તા.૧૫ સપ્ટેમ્બરે સરદાર સરોવરમાં ૨૨ લાખ કયુસેક પાણીની ધરખમ આવક થતા ડેમના ૨૩ ગેટ ખોલ્યા હતા. જેના લીધે નદીમાં ૧૮ લાખ કયુસેકથી પણ વધુ પાણી છોડાતા ભરુચ, નર્મદા અને વડોદરા જિલ્લો ૫૩ વર્ષ બાદ ઐતિહાસિક પુરનો ભોગ બન્યું હતું, એટલુંજ નહી ભરુચમાં નર્દમા નદી પર ગોલ્ડિબ્રિજ ખાતે સપાટી ઐતિહાસિક ૪૧.૮૫ ફૂટે પહોંચી હતી, અને જિલ્લામાં ભારે ખાનાખરાબી સર્જી હતી. જેમના ગેટ ૧૬ દિવસ સુધી ખુલ્લા રખાયા બાદ ગઇ તા.૩૦ સપ્ટેમ્બરે બંધ કરાયા હતા. જો કે આજે શુક્રવારે ૬ દિવસ બાદ ફરી ડેમના ૩ દરવાજા ખોલવાની ફરજ પડી છે. ડેમના ઉપરવાસમાંથી ૧,૨૨,૭૨૯ કયુસેક પાણીની આવક થતા ગેટ ખોલ્યા છે. હાલ ડેમ ૯૯ ટકા ભરાઇ ગયો છે. ડેમમાં ૧૩૮.૫૫ મીટર નોંધાઇ છે. સરદાર સરવોર બંને જલવિદ્યુત મથકો કાર્યરત છે. કેનાલમાં ૧૭,૦૬૭ કયુસેક પાણી વહે છે. જયારે રિવરબેડ મથકથી નદીમાં ૪૧,૩૧૯ કયુસેક અને ગેટમાંથી ૧૫ હજાર કયુસેક પાણી નદીમાં વહી રહ્યું છે.