વાલ્વ બગડી જતા ઉત્તરાયણ પર્વે આજવા રોડના 20 હજાર લોકોને પાણીનો કકળાટ
વડોદરા,તા.16 જાન્યુઆરી 2024,મંગળવાર
750 એમએમની મુખ્ય પાણીની લાઇનનો વાલ્વ બગડી જતા આજવા રોડના સયાજીપાર્ક સહિતના વિસ્તારમાં ઉત્તરાણ અને વાસી ઉત્તરાયણના પર્વના પાણીની મોકાણ સર્જાઇ હતી. હાલ વાલ્વ મરામતની કામગીરી શરૂ કરાઈ છે અને મોટેભાગે આવતીકાલથી રાબેતા મુજબ પાણી વિતરણ કરી દેવામાં આવી શકે છે.
આજવા રોડ ખાતે આવેલ સયાજીપાર્ક સહિતના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી પાણી વિતરણમાં મોકાણ સર્જાઇ છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના પર્વ ટાણે ખૂબ જ લો પ્રેશરથી પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ અંગે પાલિકાના પાણી પુરવઠા વિભાગને પૂછવામાં આવતા તેઓનું જણાવવનું હતું કે, 750 એમએમની મુખ્ય પાણીની લાઈનનો વાલ્વ બગડી જતા અસરગ્રસ્ત વિસ્તારમાં ઓછા પ્રેશરથી પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. હાલ મરામતની કામગીરી ચાલુ છે અને મોટેભાગે આવતીકાલથી રાબેતા મુજબ પાણી વિતરણ થઈ જાય તે પ્રમાણેના તંત્રના પ્રયાસો છે. વાલ્વ બગડી જવાની પરિસ્થિતિના કારણે અંદાજે 20,000 જેટલી વસ્તીને ઓછા પ્રેશરથી પાણી મળવાનો પ્રશ્ન ઉદભવ્યો છે.