સગીરાનું અપહરણ કરીને બળાત્કાર ગુજારનાર આરોપીને 10 વર્ષની સખત કેદ

Updated: Jul 5th, 2024


Google NewsGoogle News
સગીરાનું અપહરણ કરીને બળાત્કાર ગુજારનાર આરોપીને 10 વર્ષની સખત કેદ 1 - image


ગાંધીનગર નજીક રાંધેજામાં પાંચ વર્ષ અગાઉ

મૂળ માણસાનો અને અમદાવાદ રહેતો યુવાન સગીરાને આણંદ ખાતે લઈ ગયો હતો : ગાંધીનગર સેશન્સ કોર્ટનો ચુકાદો

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા રાંધેજા પંથકમાં રહેતી સગીરાનુ અપહરણ કરી આણંદમાં લઈ જઈને બળાત્કાર ગુજારનાર આરોપી સામે ગુનો દાખલ થયા બાદ કેસ ગાંધીનગર બીજા એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો અને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપીને ૧૦ વર્ષની સખત કેદ ફટકારવામાં આવી છે.

આ કેસની મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક આવેલા રાધેજા પંથકમાં રહેતી સગીરાને ગત ૭ જુલાઈ ૨૦૧૯ના રોજ મૂળ માણસાના બોરુ ગામનો અને અમદાવાદ ખાતે ચાણક્યપુરીમાં રહેતો હર્ષદજી લક્ષ્મણજી ઠાકોર અપહરણ કરીને લઈ ગયો હતો અને આણંદ ખાતે પરિચિતના ઘરે આ સગીરાને રાખી હતી. જ્યાં તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધો બાંધ્યા હતા ત્યારે આ સંદર્ભે સગીરાના પિતા દ્વારા પેથાપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો. જે કેસ ગાંધીનગરના બીજા એડિશનલ સેશન્સ જજશ્રી એસ.ડી મહેતાની કોર્ટમાં ચાલ્યો હતો જ્યાં સરકારી વકીલ સુનિલ.એસ પંડયા દ્વારા ભોગ બનનાર અને સાહેદોની જુબાની લેવામાં આવી હતી અને દલીલ કરવામાં આવી હતી કે આરોપીએ ગંભીર પ્રકારનો ગુનો આચર્યો છે આવા કેસમાં સખતમાં સખત સજા થવી જોઈએ. સમાજમાં દાખલો બેસે તે પ્રકારે અને આવા ગુનાઓ બનતા અટકે તે માટે આરોપીને કાયદામાં દર્શાવેલી સજા કરવી જોઈએ. જેના પગલે કોર્ટ દ્વારા આરોપી હર્ષદજી ઠાકોર ને બળાત્કાર અને અપરણના ગુનામાં ૧૦ વર્ષની સખત કેદની સજા અને ૧૪ હજાર રૃપિયા દંડ ફટકારવામાં આવ્યો હતો. એટલું જ નહીં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ભોગ બનનાર સગીરાને ચાર લાખ રૃપિયા વળતર પેટે ચૂકવવા પણ હુકમ કરવામાં આવ્યો હતો.


Google NewsGoogle News