10 કલાક અને 10 મિનિટમાં એવું તો શું છે ખાસ, કેમ દરેક બંધ ઘડિયાળ આ જ સમય દેખાડે છે?
જ્યારે ઘડિયાળમાં 10:10નો સમય બતાવવામાં આવે છે, ત્યારે તે ખૂબ જ સુંદર અને આકર્ષક લાગતી હોય છે
ઘડિયાળની જાહેરાતમાં કે શો રુમમાં 10:10 વાગ્યાનો સમય વિજયની નિશાની બતાવે છે.
Image Envato |
ભારતમાં માત્ર Titan કે Casio ની જ ઘડિયાળો નહીં પરંતુ Rolex, Cartier અને Omega જેવી કંપનીની ઘડિયાળો પહેરવાના શોખીનોની કમી નથી. અને તેના જ કારણે ઘડિયાળોની મોટી-મોટી કંપનીઓ અખબારો, ટીવી ચેનલો, હોર્ડિંગ્સ અને અન્ય માધ્યમો દ્વારા કોઈને કોઈ તહેવારો પર જાહેરાત આપતાં હોય છે. પરંતુ, શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે અખબારોમાં ઘડિયાળની જાહેરાતો કે શોરૂમમાં લટકાવવામાં આવેલ ઘડિયાળોનો ટાઈમ 10:10 અથવા 2:10 જ કેમ સેટ કરવામાં આવેલો હોય છે? એવું શું કારણ છે કે સમગ્ર વિશ્વમાં ઘડિયાળના ઉત્પાદકો આ જ સમયને સેટ કરતાં હોય છે? આવો તેના વિશે વિગતે જાણીએ.
સૌથી પહેલું અને મહત્ત્વનું કારણ તેની ખૂબસૂરતી માનવામાં આવે છે
ઘડિયાળો બનાવતી કંપનીઓ દ્વારા તૈયાર થઈને નીકળતી બંધ ઘડિયાળોમાં ડિફોલ્ટ સમય તરીકે 10:10 સેટ કરવા પાછળ ઘણા કારણો છે. તમને જણાવી દઈએ કે આ કોઈ નવી પરંપરા નથી. પરંતુ ઘડિયાળો બનાવતી કંપનીઓ પહેલાથી આવું કરતી આવી છે. તેનું સૌથી પહેલું અને મહત્ત્વનું કારણ તેની ખૂબસૂરતી માનવામાં આવે છે. હકીકતમાં કંપનીઓનું માનવું છે કે જ્યારે ઘડિયાળમાં 10:10નો સમય બતાવવામાં આવે છે, ત્યારે તે ખૂબ જ સુંદર અને આકર્ષક લાગતી હોય છે. બીજુ કે આ સમયે કોઈપણ કાંટો એકબીજાને ઓવરલેપ કરતો નથી.
પ્રચાર અને વિજય સાથે છે સંબંધ
બંધ ઘડિયાળોમાં આ સમય સેટ કરવાનું એક બીજુ કારણ કંપનીના પ્રચાર સાથે જોડાયેલું છે. હકીકતમાં 10:10 વાગ્યે ઘડિયાળના કાંટા એવી રીતે સેટ થઈ જાય છે, કે જેમા કંપનીનો લોગો અને નામ સ્પષ્ટ રીતે દેખાય છે. ઘડિયાળો બનાવતી મોટાભાગની કંપનીઓ તેનો લોગો અને નામ ઘડિયાળની સેન્ટરમાં રાખતા હોય છે. તેથી 10.10નો ટાઈમ સેટ કરવાથી કંપનીનો લોગો અને નામ બંને કાંટા પાછળ ઢંકાતા નથી અને બરોબર વંચાય છે.
10:10 વાગ્યાનો સમય વિજયની નિશાની બતાવે છે
ત્રીજુ કારણ એ છે કે, ઘડિયાળની જાહેરાતમાં કે શો રુમમાં 10:10 વાગ્યાનો સમય વિજયની નિશાની બતાવે છે. તમે જોયું જ હશે કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ કામમાં સફળ થાય છે ત્યારે તેઓ પોતાના હાથની પહેલી બે આંગળીઓ ઉંચી કરીને V નું નિશાન બતાવતા હોય છે. એટલે 10.10નો સમય પણ વિજયની નિશાની બતાવે છે.