આણંદસર પાસે કારની અડફેટે પત્નીની નજર સામે પતિનું મોત

Updated: Oct 3rd, 2023


Google NewsGoogle News
આણંદસર પાસે કારની અડફેટે પત્નીની નજર સામે પતિનું મોત 1 - image


યક્ષના મેળામાં બાઇકથી જતા સુખપરના દંપતિને નડયો અકસ્માત 

ભીરંડીયારા પાસે અજાણ્યા વાહનની ઠોકરે બાઇક ચાલકનું મોત

ભુજ: પશ્ચિમ કચ્છમાં માર્ગ અકસ્માતના અલગ અલગ બે બનાવોમાં બે યુવાનનો અકાળે મોત નીપજ્યા છે. જેમાં ભુજ તાલુકાના સુખપર ગામે રહેતા દંપતિ મોટર સાયકલથી યક્ષના મેળવામાં જતા હતા. ત્યારે આણંદસર નજીક માજીરાઇ બસ સ્ટેશન પાસે પૂરઝડપે આવતી કારે ટકકર મારતાં પત્નીની નજર સામે પતિનું મોત નીપજ્યું હતું. જ્યારે પત્નીને ગંભીર ઇજા હેઠળ હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. બીજીતરફ ભુજ તાલુકાના ભીરંડયારા નજીક અજાણ્યા વાહનની અડફેટે આવી જતાં મુળ ધોરાવરના અને હાલ ભુજ રહેતા બાઇક ચાલક યુવાનનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે મૃતકોના પરીવારજનોમાં અરેરાટી સાથે આક્રંદ છવાઇ ગયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ભુજ તાલુકાના સુખપર ગામે રહેતા જયેશભાઇ લખમશીભાઇ પોકાર (ઉ.વ.૩૩) અને તેમના પત્ની મિતલબેન જયેશભાઇ પોકાર (ઉ.વ.૩૧) બને જણાઓ મોટર સાયકલથી મોટા યક્ષના મેળામાં જઇ રહ્યા હતા. ત્યારે રાત્રીના દસ વાગ્યાના અરસામાં નખત્રાણાના આણંદસર નજીક આવેલા માજીરાઇ બસ સ્ટેશન સામેના રોડ પર અજાણી કારના ચાલકે તેમની બાઇકને ટકકર મારતાં દંપતિ રોડ પર ફંગોળાઇ જતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. બન્નેને સારવાર માટે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ અવાતાં જ્યાં સારવાર દરમિયાન મોડી રાત્રી ત્રણ વાગ્યાના સમય ગાળા દરમિયાન તબીબે જયેશભાઇ પોકારને મૃત જાહેર કર્યા હતા. નખત્રાણા પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે. તો, બીજીતરફ ભુજ તાલુકાના ભીરંડીયારાથી વેકરીયા રણ જતા રોડ પર સોમવારે રાત્રીના સાડા આઠ ભુજથી ધોરાવર મોટર સાયકલ પર આવી રહેલા ઇલીયાસ ઓસમાણ સમાને કોઇ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતાં શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી. ઘાયલને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલે લઇ જવાતાં તબીબે મૃત જાહેર કર્યો હતો. ખાવડા પોલીસે બનાવની નોંધ લઇ અજાણ્યા વાહન ચાલક વિરૂધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.



Google NewsGoogle News