હટડીની છ વર્ષની બાળકીનું ભુજમાં મોત ચાંદીપુરા શંકાસ્પદ સેમ્પલનો રિપોર્ટ બાકી
મેઘપરની મૃતક બાળકીનો રિપોર્ટ પોઝિટીવ
માધાપરના આઠ મહિનાના બાળકનો રિપોર્ટ નેગેટીવ આવ્યો : મૃત્યુનંુ કારણ અન્ય બીમારી હોઈ શકે
ભુજ: ચાંદીપુરાના શંકાસ્પદ કેસ તરીકે મોકલાવાયેલા સેમ્પલનો રિપોર્ટ આવે તે પહેલા મુંદરા તાલુકાના હટડીની છ વર્ષની છોકરીનુું જી.કે. જનરલ હોસ્પિટલના બિછાને ગઈકાલે મોત થતાં કચ્છભરમાં ચાંદીપુરા બીમારીએ ભારે ચિંતા જગાવી છે. ગઈકાલે આરોગ્ય તંત્રે માધાપર અને મેઘપરના બે બાળ દર્દીના શંકાસ્પદ મોત થયાની આપેલી માહિતી બાદ વધુ એક શંકાસ્પદ મોત થયાનું આજે જાહેર થયું છે. શંકાસ્પદ ત્રણ બાળ દર્દીના મૃત્યુથી જિલ્લાભરમાં શોકની લાગણી વ્યાપી છે.
માધાપરના આઠ મહિનાના બાળકના ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન લેવાયેલા સેમ્પલનો ગાંધીનગરની લેબોરેટરીમાંથી ચાંદીપુરાનો આજે નેગેટીવ રિપોર્ટ આવ્યો છે તે પહેલા તા. રપના મૃત્યુ થયું હતું. આ બાબતે જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. કેશવકુમાર સિંઘે જણાવ્યું કે મૃત્યુનું કારણ અન્ય બિમારી હોઈ શકે.
અંજાર તાલુકાના મેઘપર કુંમારડી પાસેની કેશરવાંઢની એક વર્ષ બે મહિનાની બાળકીને જી.કે. જનરલ હોસ્પિટલ બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી ત્યાં તા. રપના મૃત્યુ થયું હતું. તેનો ચાંદીપુરાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
ચાંદીપુરાનો પ્રથમ પોઝિટીવ રિપોર્ટ આવ્યો તે નખત્રાણા તાલુકાના દેવપર વાડી વિસ્તારની બાળકીની જી.કે. જનરલ હોસ્પિટલમાં ચાલતી સારવારથી તબીયતમાં સુધારો જણાઈ રહ્યો છે. ખેંચ નથી આવી અને તાવ પણ નથી તેવું ડો. સિંઘે ઉમેર્યું હતું.
૧૪ વર્ષની ઉમર સુધીના બાળકોને ચાંદીપુરા બીમારી થતી હોય છે તેમ છતાં માંડવી તાલુકાના ગઢશીશાના ૧૮ વર્ષના છોકરાના સલામતી ખાતર સેમ્પલ મોકલાયા છે તેનો રિપોર્ટ પેન્ડીંગ છે. જી.કે. જનરલ હોસ્પિટલમાં તેની તબીયત સ્ટેબલ હોવાની વિગતો અપાઈ હતી.
જ્યારે અંજાર તાલુકાના સિનુગ્રાના પાંચ વર્ષના છોકરાનો ખાનગી હોસ્પિટલમાંથી મોકલાવાયેલા સેમ્પલનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. તે સ્વસ્થ થઈ જતા ગઈકાલે ઘરે જવા રજા અપાઈ હોવાનું ડો. સિંઘે જણાવ્યું હતું.
- ઋતુજન્ય તાવ-ઝાડાના નીકળતા કેસ
વરસાદી ઋતુ જન્ય તાવ અને ઝાડાના કેસ છૂટાછવાયા નોંધાઈ રહ્યા છે. તે બધાના સેમ્પલ નથી મોકલાતા માત્ર ચાંદીપુરા જેવા લક્ષણો ધરાવતા બાળ દર્દીને દાખલ કરી સારવાર ચાલુ કરી સલામત ખાતર તપાસ માટે સેમ્પલ મોકલાવાઈ રહ્યા છે.
- માખીનો લેબ રિપોર્ટ બાકી
કચ્છમાં ચાંદીપુરાના બે બાળ દર્દીના રિપોર્ટ પોઝિટીવ આવી ચૂકયા છે તે દરમિયાન ચાંદીપુરા રોગ ફેલાવતી માખીને પકડીને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પરમ દિવસે અને ગઈકાલે બે વખત માખી પરીક્ષણ અર્થે મોકલાવાઈ છે તેના રિપોર્ટ બાકી છે.