Get The App

પહેલીવાર દેશમાં વિચરતા કચ્છના પશુઓને ગણતરીમાં આવરી લેવાશે

Updated: Nov 24th, 2024


Google News
Google News
પહેલીવાર દેશમાં વિચરતા કચ્છના પશુઓને ગણતરીમાં આવરી લેવાશે 1 - image


21મી પશુધન વસ્તી ગણતરી માટે ૨૦૨ ગણતરીદારો ૧૦૬૩ ગામ અને ૫૯ શહેરી વોર્ડમાં ઘરેઘર ફરશેઃ ૨૮ દિવસમાં ૩૨ ગામમાં ગણતરી પૂર્ણ 

ભુજ: ૨૧મી પશુધન વસ્તી ગણતરીનો ૨૮ દિવસ અગાઉથી આરંભ થઈ ચૂક્યો છે. જેમાં પહેલીવાર કચ્છના પશુઓ જે જિલ્લા બહાર દેશભરના વિસ્તારોમાં વિચરણ કરે છે ત્યાંના વિસ્તારોને જાણ કરી તેની કચ્છના પશુ તરીકે ઓનલાઈન ગણતરી કરાવાશે. જેથી કચ્છમાં રહેલા અને જિલ્લા બહારના તમામ પશુઓની ચોક્કસ સંખ્યા કેન્દ્ર સરકારને પહોંચશે. કચ્છમાં ડેરીના કારણે ઊંટડી, ગાય, ભેંસની સંખ્યા વધી છે.

વિશ્વમાં ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં ૧૯૧૯ થી દર પાંચ વર્ષે પશુધનની વસ્તી ગણતરી થાય છે. ૨૦૨૪માં ૨૧મી પશુધન વસ્તી ગણતરી શરૂ થઈ ગઈ છે. કચ્છમાં ૨૬મી ઓક્ટોબરથી ૨૦૨ ગણતરીદારોએ શહેરોના ૫૯ વોર્ડ અને ૧૦૬૩ ગામ મળી ૧૦૬૩ બ્લોકમાં ઘરોઘર કામગીરી શરૂ કરી દેતાં આજ સુધી ૩૨ ગામની કાર્યવાહી પૂર્ણ થઈ ચૂકી છે. આ વસ્તીનો આંક ઓનલાઈન ભારત સરકારને મોકલાવાય છે. ગત ૨૦મી પશુધન વસ્તી ગણતરી ૨૦૧૯માં થઈ હતી. ત્યારે કચ્છમાં ૫.૭૪ લાખ ગાય, ૪.૬૬ લાખ ભેંસ, ૬.૧૦ લાખ ઘેટાં, ૪.૩૯ લાખ બકરાં, ૧.૭૧ લાખ મરઘાં, ૯ હજાર ઊંટ, ૧૩૦૦ ગધેડા, ૩ હજાર ઘોડા મળી ૨૨,૭૬,૧૮૩ પશુ હોવાનું જાહેર કરાયું હતું. ડેરી ઉદ્યોગના કારણે કચ્છી અને ખારાઈ ઊંટના દૂધનું પાંચ જગ્યાએ કલેક્શન થઈ રહ્યું છે. તે ઉપરાંત ગાય અને ભેંસના પુરતા ભાવ મળતાં પાલનમાં વધારો થયો છે જે આ વર્ષની ગણતરીમાં નજરે પડશે. પશુપાલકો પાસે રહેલા પશુઓ ઉપરાંત રખડતા ઢોર, પાંજરાપોળ-ગૌશાળા, પોલીસ વિભાગ હસ્તકના અને સરકારી ફાર્મમાં રહેતા પશુઓને પણ આવરી લેવાશે. દેશમાં પશુઓની કુલ્લ ૨૧૯ પ્રજાતિ છે જે પૈેકી કચ્છમાં ગાયની બે પ્રજાતિ ગીર અને કાંકરેજ, બન્ની ભેંસ, કચ્છી અને ખારાઈ ઊંટ, કચ્છી ગધેડા, કચ્છી બકરાં જ્યારે ઘેટાં બે જાત મારવાડી અને પાટણવાડી તો ઘોડાની ત્રણ જાત કાઠિયાવાડી, મારવાડી અને સિંધી પ્રજાતિનો સમાવેશ થાય છે. 

રાજ્યમાં ચાર સ્તરીય કામગીરી આરંભાઈ છે જેમાં રાજ્યમાં પશુપાલન નિયામક, જિલ્લામાં જિલ્લા પશુપાલન અધિકારી, તાલુકાકક્ષાએ ૨૫ સુપરવાઈઝર અને તેમના હસ્તક પશુપાલન વિભાગ સ્ટાફના ૨૦૨ ગણતરીદારો કામગીરી સંભાળી રહ્યા છે. 

આગામી ૨૫મી ફેબુ્રઆરી સુધીમાં ગણતરી પૂરી કરવાનું લક્ષ્યાંક છે. પશુઓની ચોક્કસ વસ્તી એકત્ર થવાથી જ્યારે રોગચાળો ફેલાય ત્યારે નાબૂદી માટેના પગલાં લેવા, કુદરતી આફત સમયે મદદ પહોંચાડવામાં, દુષ્કાળ વખતે ઘાસચારા અને પાણીની વ્યવસ્થામાં, રસીકરણના આયોજન ઉપરાંત સરકાર પશુઓ માટે નવી યોજના અમલી બનાવવા માંગે ત્યારે ફાયદારૂપ બનશે તેવું જિલ્લા પશુપાલન અધિકારી ડો. આર.ડી.પટેલે જણાવ્યું હતું.

Tags :
First-time-in-the-countryCattle-of-roaming-included-in-the-census

Google News
Google News