અંજારમાં વ્યાજ ખોર રીયા ગોસ્વામી વિરૂધ્ધ વધુ એક ફરિયાદ

Updated: Sep 24th, 2024


Google NewsGoogle News
અંજારમાં વ્યાજ ખોર રીયા ગોસ્વામી વિરૂધ્ધ વધુ એક ફરિયાદ 1 - image


૨૦ હજાર રૂપિયા ૧૦ ટકા વ્યાજે આપી, વ્યાજ ન ચૂકવી સકતા યુવાન પાસે મોબાઈલ ફોન ઝુટવી લીધા

ગાંધીધામ: અંજારની કુખ્યાત વ્યાજખોરી કરતી રીયા ગોસ્વામી અને તેના ભાઈ-બહેન વિરુદ્ધ ગુજસીટોકની ભારે ભરખમ કલામ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પૂર્વ કચ્છ પોલીસની અપીલ અનુસંધાને રીયા ગોસ્વામી વિરુદ્ધ વધુ એક વ્યાજખોરીની ફરિયાદ નોંધાઈ છે.જેમાં રીયાએ ૨૦ હજાર રૂપિયા યુવાનને ૧૦ ટકા વ્યાજ પર આપી પઠાણી ઉઘરાણી કરતી હતી અને વ્યાજ ન ચૂકવી સકતા યુવાનને ઓફિસે બોલાવી તેનો મોબાઈલ ફોન ઝુટવી લઈ મારી નાખવાની ધમકી આપતાં તેના વિરુદ્ધ વધુ એક ગુનો પોલીસ ચોપડે નોંધાયો છે.

અંજારનાં હિરાપર કોળીવાસમાં રહેતા હરિભાઈ સલુભાઈ કોળીએ ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતું કે, ફરિયાદીને રૂપિયાની જરૂર પડતા ફરિયાદીએ અંજારમાં રોયલ ફાઇનેન્સની ઓફિસે આરોપી રીયાબેન ઈશ્વરભાઈ ગોસ્વામી પાસે ૨૦ હજાર રૂપિયા ૧૦ ટકા વ્યાજ પર લીધા હતા. જેમાં ફરિયાદી સમય પર વ્યાજનાં રૂપિયા ન આપતા આરોપી રીયા ફરિયાદીને ફોન કરી અવાર નવાર ગાળાગાળી કરતી હતી અને ફરિયાદીને આફિસે બોલાવી અને ફરિયાદીનો મોબાઈલ ફોન ઝુટવી લીધો હતો. તેમજ ફરિયાદીને વ્યાજનાં રૂપિયા આપી દેવા ગાળાગાળી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ફરિયાદીએ આરોપી રીયા ગોસ્વામી વિરુદ્ધ ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ હેઠળ અંજાર પોલીસ મથકે વધુ એક ફરિયાદ નોંધાઈ હતી.


Google NewsGoogle News