ગાંધીધામમાં બંધ મકાનમાં રૂપિયા 1.83 લાખની મત્તા ચોરાઈ
બારીના સળિયા તોડી ઘરમાં પ્રવેશ કર્યો, સોના - ચાંદીના દાગીના ચોરી ગયા
ગાંધીધામ: ગાંધીધામ શહેરમાં આવેલા ગુરુકુળ વિસ્તારમાં બંધ મકાનમાં બારીના સળિયા તોડી ઘરમાં પ્રવેશ કરી કબાટમાં રાખેલા સોના - ચાંદીના અલગ અલગ દાગીના જેની કિંમત કુલ રૂ. ૧,૮૩,૦૦૦ કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી ગયા હતા. જેની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી.
આ અંગે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા ગાંધીધામ વોર્ડ નં ૭/બી ગુરુકુળ મકાન નં ૩ માં રહેતા યોગેશકુમાર દિનેશભાઇ સોનીએ ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતું કે, ફરિયાદી તેના મકાનને બપોરના ભાગમાં તાળુંમારી પિતાની સારવાર અર્થે પરિવાર સાથે હોસ્પિટલમાં હતા, ત્યારે કોઈ અજાણ્યા ઈસમ ઘરની બારીના સળિયા તોડી ઘરમાં અપપ્રવેશ કરી રૂમ અંદર લાકડાના કબાટમાં રાખેલા સોના - ચાંદીના અલગ અલગ દાગીના જેની કિંમત રૂ. ૧,૮૩,૦૦૦ની માલમત્તા ચોરી કરી લઇ ગયા હતા. જેથી ફરિયાદીએ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.