ચાંદીના દાગીનાને હાથ પણ ન અડાડયો ૧૪ લાખના સોનાના ઘરેણાં-રોકડ ચોર્યા
- ભારાપર ગામે પરિવાર નવરાત્રિમાં ગયો અને ચોરી થઈ
- નવમા નોરતાની રાતે જાણભેદુએ ચોરી કરી હોવાની આશંકા માત્ર ત્રણ કલાકના સમયગાળામાં ચોરીને અંજામ અપાયો
- પિતાવિહોણી ભત્રીજી તેમજ વેપારીના પત્ની, પુત્રીના મળી ૪૮ તોલા દાગીના ચોરી જવાયાં
ગાંધીધામ,બુધવાર
ગાંધીધામ તાલુકાના ભારાપરમાં ૯માં નોરતાની રાત્રે પરિવાર ગરબી જોવા ગયો ત્યારે બંધ ઘરનો તાળો તોડી તસ્કરોએ રૃ. ૧૪.૬૨ લાખના દાગીનાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. કોઈ જાણભેદુ દ્વારા જ આ ચોરી કરવામાં આવી હોય તેમ ઘરમાં રહેલા સોના ચાંદીના દાગીના પૈકી માત્ર સોનાના દાગીના અને રોકડ જ ચોરવામાં આવ્યા હતા. ઉપરાંત ઘર માંથી ઘરેણાની પેકીંગના પાકીટ સહિત ચોરી કર્યા બાદ પાકીટ ઘરની બારી પાસે જ ફેંકી દેવાતા ચોરી કોઈ જાણભેદુ દ્વારા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ અંગે કંડલા મરીન પોલીસ માથકેાથી મળતી માહિતી મુજબ ભારાપરમાં સવસ સ્ટેશન તાથા ખેતી કરતા કરમણભાઈ જેશાભાઈ બોરીચા (આહિર)એ ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા. ૨૩ના રાત્રે દસ વાગ્યા બાદ તેમનો દિકરો કાનજી, કિશન, દિકરી છાયા ફરિયાદી અને તેમની પત્ની રંભીબેન ઘર બંધ કરીને નવરાત્રી જોવા ગયા હતા. દરમિયાન રાત્રે પોણા એક વાગ્યાના અરસામાં દિકરી છાયા ઘરે પહોંચી અને તેણે કહ્યું કે, ઘરનો દરવાજો ખુલ્લો છે. જેાથી ફરિયાદી ઘરે જઈને જોતા ઘરની અંદર રૃમની નાની લાઈટ ચાલુ હતી અને તિજોરી પાસે સામાન વેર વિખેર જોવા મળ્યો હતો. લોકર પણ તૂટેલું હતું. સોનાના દાગીના ગાયબ હતા. જો કે, ચાંદીના દાગીના સલામત હતા, ઘરે પત્ની અને દિકરીઓના દાગીનાની ગણતરી કરતા ૪૮.૫ તોલા સોનાના દાગીના ગાયબ જણાયા હતા. તેમજ દિકરી કાજલબેનના રોકડા રૃ. ૭ હજાર પણ જોવા મળ્યા ન હતા. ઘરની આસપાસ તપાસ કરતા બાથરૃમની પાછળ દિવાલ પાસે સોનાના ઘરેણાના પેકીંગના પાકીટ અને અન્ય ચીજ વસ્તુઓ જોવા મળી હતી. ફરિયાદીના નાના ભાઈ બચાભાઈનું અવસાન થયું હોવાથી દિકરીઓએ ઘરેણાં પહેરેલા ન હતા. જે દાગીના ઘરે રાખેલા હોવાથી તસ્કરો તેની ચોરી કરી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ અંજાર તાલુકાનાં વરસામેડીમાં પણ મોટી રકમની ચોરી થઈ હતી. જેમાં ચોરી કરનાર ઘરનો જ સભ્ય નીકળ્યો હતો. ત્યારે આ બનાવમાં પણ કોઈ જાણભેદુ જ હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી હતી. જેાથી ટૂંક સમયમાં આ ભેદ ઉકેલાઈ જશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.