કપડવંજના ઝંડા ગામમાં સાસરિયાના ત્રાસથી પરિણીતાએ આપઘાત કર્યો
- ઘર કામ બાબતે ત્રાસ આપતા કુવામાં ઝંપલાવ્યું
- સાસરિયાના 7 સભ્યો સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
કપડવંજ તાલુકાના ઝંડા ગામમાં રહેતા અલકેશભાઈ પર્વતસિંહ રાઠોડના લગ્ન મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાની યુવતી સાથે થયા હતા અને લગ્નના શરૂઆતના દિવસો પરિણીતા માટે સુખમય બન્યા હતા પરંતુ. ત્યારબાદ પતિ તેમજ ઘરના સભ્યો અવાર નવાર ઘર કામકાજ માટે તેમજ નાની નાની બાબતોમાં શારીરીક તેમજ માનસિક ત્રાસ આપતા હતા. આ બાબતે ઘણી વખત પરિણીતા પોતાના પિતાને પણ સાસરીયાઓના વર્તન બાબતે જાણ કરી હતી. જોકે બધું સારું થઈ જશે તેમ માનીને પરિણીતા સાસરીમાં પોતાની જિંદગી ગુજારતા હતા.
સાસરીયાઓનો ત્રાસ ખૂબ જ વધી જતા આખરે પરિણીતાએ ગામમાં આવેલા કુવામાં પડતું મૂકી જિંદગી ટૂંકાવી લીધી હતી. આ બાબતે પરિણીતા પિતાએ કપડવંજ રૂલર પોલીસમાં પતિ અલકેશભાઈ પર્વતસિંહ રાઠોડ, સોનીબેન પર્વતસિંહ રાઠોડ, પર્વતસિંહ રૂપસિંહ રાઠોડ, રામસિંહ પર્વતસિંહ રાઠોડ, દિલીપસિંહ પર્વતસિંહ રાઠોડ, ભાવનાબેન રામસિંહ પર્વતસિંહ રાઠોડ અને મિતલબેન દિલીપસિંહ રાઠોડ (તમામ રહે.ઝંડા તા.કપડવંજ જી.ખેડા) વિરુદ્ધ પોતાની પુત્રી સરોજને મરવા મજબૂર કરવા બાબતની ફરિયાદ આપી છે.
હાલમાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ મૃતકના સસરા પર્વતસિહ રાઠોડ ગામમાં સરપંચ તરીકેની જવાબદારી નીભાવી રહ્યા છે.