ખેડામાં વાવાઝોડા સાથે વરસાદથી કારેલાના પાકને વ્યાપક નુકશાન
- શાકભાજીનો પાક પડી જવાથી નુકશાની
- હરિયાળા, વાટંડી, ગાંધીપુરા ગામમાં શાકભાજીના ઉભા પાકને નુકશાન થયાની ખેડૂતોની રજૂઆત
ખેડા : ગઈકાલે સાંજે ભારે વરસાદ અને વાવાઝોડું આવ્યું હતુ તેની અસર શાકભાજી પકવતા ખેડૂતોને થઇ છે. વાત્રક નદી ના શેઢે આવેલા ખેડા તાલુકાના વાંટડી ગામે કારેલાના તૈયાર પાકના માંડવા ભારે પવન અને ધોધમાર વરસાદના કારણે આડા પડી ગયા હતા.
ખેડા તાલુકાના હરિયાળા, ગાંધીપુરા અને વાંટડી ગામના અનેક ખેડૂતો ઘણા વર્ષથી તેમની ગોરડું જમીનોમાં શાકભાજીના વાવેતર કરે છે. ત્યારે ગઈકાલની કુદરતી આફતથી ખેડૂતાને નુકસાન થયું છે. આ બાબતે અહીંના ગ્રામસેવક ને જાણ કરાતા તેઓ સ્થળ ઉપર આવ્યા હતા. અને પરિસ્થિતિની જાણ ઉપરી અધિકારીને કરી હતી. આ બાબતે ખેડાના અમલીકરણ અધિકારીના જણાવ્યા પ્રમાણે કુદરતી આફતથી ઉભા પાકના તેત્રીસ ટકા નુકસાન થયું હોય, અથવા પાક સદંતર ફેલ થઇ જાય, પૂરના પાણી ભરાઈ જાય અને પાક કહોવાઈ જવા જેવા કિસ્સામાં રાહત મળે તેવો મહેસુલ વિભાગનો ઠરાવ છે તેથી ત્રણ દિવસ પછી આ બાબતે વધુ કહી શકાય.