ડાકોરમાં પૂનમ અને વાર-તહેવારોમાં વીઆઈપી દર્શનનો લાભ નહીં મળે
ડાકોર : ડાકોર મંદિર કમિટીની મીટિંગમાં ટ્રસ્ટીઓ અને સેવક આગેવાનો દ્વારા વીઆઇપી દર્શન કરવા માટે રૂા. ૫૦૦ અને મહિલાઓની જાળીમાં પુરૂષોના દર્શન માટે ૨૫૦ રૂપિયા ન્યોછાવર નક્કી કરાયું હતું. આ નિર્ણયને બહોળો પ્રતિસાદ મળે અને સામાન્ય માણસ પણ તેનો લાભ લઈ શકે તેમજ નિર્ણયની માહિતી દરેક દર્શનાર્થીઓ સુધી પહોંચે તેવા આશયથી ડાકોર મંદિરની ઓફિસની નીચે નિયમો સાથેની જાહેરાત લગાડાઈ છે. જેમાં વીઆઈપી દર્શનમાં ટાઈમ લિમિટ બે મિનિટની રાખવામાં આવી છે અને વાર- તહેવારે અને પૂનમના દિવસે વીઆઈપી દર્શનનો લાભ આપવામાં નહીં આવે તેવું જાહેર કર્યું છે. હાલના જે રાબેતા મુજબના દર્શનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી જે રીતે ઘુમ્મટમાં દર્શન ભક્તો કરે છે તેજ રીતે ડાકોરના ઠાકોર દર્શન આપશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શુક્રવારે રૂા. ૫૦૦ આપીને ૭ દર્શનાર્થીએ અને રૂા. ૨૫૦માં મહિલાઓની જાળીમાં ૧૪ વ્યક્તિએ ન્યોછાવર કરી વીઆઈપી દર્શનનો લાભ લીધો હતો.