ખેડામાં આધેડની હત્યાનો ભેદ ખુલ્યો, જમીન બાબતે હત્યા કરનારા 2 આરોપી ઝડપાયા

Updated: Feb 1st, 2024


Google NewsGoogle News
ખેડામાં આધેડની હત્યાનો ભેદ ખુલ્યો, જમીન બાબતે હત્યા કરનારા 2 આરોપી ઝડપાયા 1 - image


- આગલી રાતે જમીન બાબતે ઝઘડો કર્યો અને બાદમાં હત્યા કરી નાંખી

- હનુમાનજી મંદિરના પૂજારીના હત્યા કેસમાં આખરે ખુલાસો થયો

નડિયાદ : ખેડા જિલ્લાના ખેડાના વાત્રક નદીના કાંઠા પાસે એક મંદિરની બાજુમાં રહેતા આધેડનો હત્યા કરેલો મૃતદેહ મળ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે આજે ૨ આરોપીઓને ઝડપી પાડયા છે. જેમાં પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હત્યા કરી તેની આગલી રાતે જ આરોપીઓએ આધેડ સાથે માથાકૂટ કરી હતી, આ અંગેની તમામ માહિતી ફરીયાદીએ પોલીસને આપી હતી, જેને પગલે પોલીસે આ સમગ્ર પ્રકરણમાં બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ ખેડાના મહીજ ગામમાં મહાદેવના મંદિરમાં પૂજારી તરીકે સેવા કરતા આધેડ શનાભાઈ શકરાભાઈ રાવળની હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ સ્થાનિકોએ પોલીસને કરી હતી અને પોલીસે શનાભાઈના ભાઈ વિનુભાઈ રાવળે ખેડા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.

 આ સમગ્ર ઘટનામાં ખેડા ટાઉન પોલીસના પી.આઈ. કે. એચ. ચૌધરી અને તેમનો સ્ટાફ હત્યા પ્રકરણ અંગે તપાસ શરૂ કરી હતી. જેમાં જમીનની બાબતમાં આ મૃતક શનાભાઈ રાવળનો મહેશ કાળુભાઈ રાવળ (રહે. હરિયાળા, તા.ખેડા) અને જીતેન્દ્રભાઈ ઉર્ફે રાજુ ઉદાભાઈ રાવળ (રહે. હરિયાળા, ખેડા) સાથે વિવાદ ચાલતો હતો. આ બંને ઈસમોએ જમીન વાવવા મુદ્દે અગાઉ દિવાળીના સમયે અને ત્યારબાદ હત્યાની આગલી રાત્રે જ શનાભાઈ સાથે માથાકૂટ કરી હતી.

 આ સિવાય પણ બંને ઈસમો જમીન બાબતે અવાર-નવાર માથાકૂટો કરતા હતા. જેથી હત્યાની આગલી રાત્રે થયેલી માથાકૂટ બાદ આ બંને ઈસમોએ આ જૂની અદાવતમાં શનાભાઈ પોતાના ઘરે સૂતા હતા, તે વખતે પહોંચી લાકડીથી શનાભાઈ પર જીવલેણ ઘા કર્યો હતો.

આ બાદ ઈજાગ્રસ્ત શનાભાઈને સારવાર માટે અમદાવાદ સિવિલ લઈ જવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયુ હતુ. ત્યારબાદ ફરીયાદ નોંધાઈ હતી. પોલીસે ઘટનાના ૨ દિવસમાં જ બંને હત્યારાઓને ઝડપી પાડયા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News