માતરના આંત્રોલીના ડૂબી ગયેલા યુવાનની બીજા દિવસે લાશ મળી
- ખેડાના મુરવાડામાં ઝવરબાઈના આરા આગળ લાશ તરતી હતી
- ગણેશ વિસર્જન વેળાએ પગ લપસતા શેઢી નદીમાં ગરકાવ થયો હતો : મૃતદેહને પીએમમાં મોકલાયો
ખેડા : માતરના આંત્રોલી ગામનો યુવાન શેઢી નદી કિનારે પગ લપસતા પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. આજે બીજા દિવસે ખેડાના મુરવાડા ગામે ઝવરબાઇના આરા આગળ નદી કિનારેથી યુવાનની લાશ તરતી મળી આવી હતી. મૃતકના સગાસંબંધીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે લાશને પીએમ માટે મોકલી આપી હતી.
માતર તાલુકાના આંત્રોલી ગામનો યુવાન ગણેશ વિસર્જન માટે શેઢી નદી કિનારે ગયો હતો ત્યારે પગ લપસતા શેઢી નદીના પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. સ્થાનિક લોકો અને ફાયર બ્રિગ્રેડના જવાનો સોમવારે મોડી સાંજ સુધી શોધખોળ કરી હતી પરંતુ પત્તો લાગ્યો ન હતો. આજે બીજા દિવસે સવારે તપાસ શરૂ કરી હતી. ખેડાના ખુમરવાડ ગામે ઝવરબાઇના આરા આગળ નદી કિનારે ઝાડી-ઝાંખરામાં લાશ તરતી દેખાઇ હતી.
જેના પગલે ગ્રામજનો અને મૃતકના સગાસંબંધીઓ દોડી આવ્યા હતા અને લાશને બહાર કાઢી હતી અને મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે લાશને સિવિલમાં પીએમ માટે મોકલી હતી.