અમદાવાદ શહેરના વટવામાં રહેતા યુવકની મહેમદાવાદમાંથી લાશ મળી

Updated: Jun 30th, 2024


Google NewsGoogle News
અમદાવાદ શહેરના વટવામાં રહેતા યુવકની મહેમદાવાદમાંથી લાશ મળી 1 - image


- માર્ચ મહિનામાં યુવક લાપતા થયો હતો

- પોલીસે સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ કરતા લાશની ઓળખ થઈ 

નડિયાદ : મહેમદાવાદના શક્તિનગર ટેકરી વિસ્તારમાંથી અમદાવાદના વટવા ખાતે રહેતા એક અસ્થિર મગજના યુવકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. યુવક તા.૨૬ માર્ચના રોજ ઘરેથી નીકળી જઈ લાપતા થયો હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ અંગે મહેમદાવાદ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદના વટવા વિસ્તારમાં શનાભાઈનગરમાં રહેતા છગનભાઈ ડાહ્યાભાઈ વણકરના દીકરા મિહીર (ઉં.વ.૨૪)નું ધો.૧૧નો અભ્યાસ કર્યા પછી મગજ અસ્થિર થઈ ગયું હતું. 

તે અવારનવાર પરિવારજનો સાથે ઝઘડો કરી મારઝુડ કરી ઘરેથી નીકળી જઈ રખડતો ફરતો હતો. તેની વિવિધ જગ્યાએ સારવાર કરાવ્યા બાદ હાલ તેની અમદાવાદ મેન્ટલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.  ગત તા. ૨૬ માર્ચના રોજ સવારે મિહીર ઘરેથી નીકળી ગયા બાદ પરત ફર્યો નહતો. જેથી પરિવારે સગા-સંબંધીઓ તથા સંભવીત સ્થળોએ શોધખોળ હાથ ધરી હતી પરંતુ તે મળી આવ્યો નહતો.  દરમિયાન મહેમદાવાદ પોલીસને મહેમદાવાદના શક્તિનગર ટેકરી વિસ્તારમાંથી અસ્થિર મગજના મિહીરનો હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે સરકારી દવાખાનામાં પીએમ કરવી મૃતદેહને અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોલ્ડરૂમમાં મૂક્યો હતો. તેના વાલી-વારસાની શોધખોળ માટે પોલીસે વિવિધ વોટ્સએપ ગુ્રપમાં મૃતદેહનો ફોટો વાયરલ કર્યો હતો. 

આ ફોટો છગનભાઈના જમાઈ મુકેશભાઈના મોબાઈલમાં આવતા તેણે આ અંગે છગનભાઈને જાણ કરી હતી. છગનભાઈએ કપડાના આધારે મિહીરનો મૃતદેહ ઓળખી બતાવ્યો હતો. આ અંગે મહેમદાવાદ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News