ચંદ્રગ્રહણ હોવાથી ડાકોરના ઠાકોરજી પૂનમે મોટો મૂગટ ધારણ નહીં કરે
- ચૌદસના દિવસે શ્રીજીએ મોટો મૂગટ ધારણ કર્યો
- શરદ પૂનમે સવારે 3.30 કલાકે મંગળા, બપોર પછી 4 વાગ્યે શ્રીજી પોઢી જશે : બીજા દિવસે રવિવારે મંગળામાં દર્શન આપશે
આજે આસો સુદ ચૌદસના દિવસે ડાકોરના ઠાકોરજીએ સવારે ૮ કલાકે મોટો મૂગટ ધારણ કર્યો હતો. આવતી કાલ આસો સુદ-૧૫ એટલે કે શરદ પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી ડાકોરના ઠાકોરજીને આગલા દિવસે એટલે કે ચૌદસના દિવસે મોટો મૂગટ ચઢાવવામાં આવ્યો હતો. તા. ૨૮મીને શનિવારે શરદ પૂનમના દિવસે ડાકોર મંદિર પરિશર સવારે ૩.૧૫ કલાકે ખૂલશે અને ૩.૩૦ વાગ્યે મંગળા આરતી, ૫.૩૦થી ૬ વાગ્યા સુધી બાલ ભોગ, શણગાર ભોગ અને ગોવાળ ભોગ હોવાથી દર્શન બંધ રહેશે. ત્યાર બાદ બપોરે ૧૨થી ૧ કલાક સુધી ડાકોરના ઠાકોરજીના દર્શન ખૂલ્લા રહેશે. જ્યારે બપોરે ૧થી ૧.૧૫ કલાક એટલે કે ૧૫ મિનિટ દર્શન બંધ રહેશે. ત્યારબાદ ૪ વાગ્યા સુધી ઠાકોરજીના દર્શન ખૂલ્લા રહેશે. બપોર પછી એટલે કે ૪ વાગ્યે શ્રીજી પોઢી જશે. બાદમાં બીજા દિવસે એટલે કે તા. ૨૯મીને રવિવારે આસો વદ એકમના દિવસે સવારે ૬ઃ૪૫ વાગ્યાના અરસામાં મંગળા આરતીમાં ઠાકોરજી દર્શન આપશે.