ખાત્રજ ચોકડી નજીક બાઈક અકસ્માતમાં એસટી ડ્રાઈવરનું મોત

Updated: Jun 10th, 2024


Google NewsGoogle News
ખાત્રજ ચોકડી નજીક બાઈક અકસ્માતમાં એસટી ડ્રાઈવરનું મોત 1 - image


- બે બાઇકો સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો

નડિયાદ : મહેમદાવાદ ખાત્રજ ચોકડી નજીક રોંગ સાઈડથી આવેલ બાઈક સામેથી આવતી મોટરસાયકલ સાથે અથડાતા ગંભીર રીતે ઇજા પામેલ બાઈક ચાલકનું મોત નિપજ્યુ હતું. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

મહેમદાવાદ તાલુકાના માંકવા બંગલજીની મુવાડીમાં રહેતા પ્રવીણભાઈ રાવજીભાઈ ચૌહાણ ખેડા એસટી ડેપોમાં કંડકટર તરીકે નોકરી કરે છે, જ્યારે તેમનો નાનો ભાઈ મહેશ ખેડા ડેપોમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. મહેશભાઈ આજે રવિવારે બપોરે ૧૨ વાગ્યાના સુમારે ખાતરજ ગામના રોડ ઉપરથી હાઇવે ઉપર બાઈક લઈને ચડતા હતા ત્યારે શંકર લોજ નજીક રોંગ સાઈડ પર સામેથી આવેલ મોટર સાયકલ ધડાકાભેર બાઇક સાથે અથડાયું હતું.જેથી મહેશભાઈ ચૌહાણને બાઈક પરથી રોડ ઉપર પડી જતા માથામાં તેમજ શરીર પર ગંભીર ઈજા થઈ હતી. આ અકસ્માતની જાણ થતા આજુબાજુના લોકોએ દોડી આવી ઇજાગ્રસ્તને તુરંત જ સારવાર માટે ખાત્રજ ચોકડી પર આવેલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના મેડિકલ ઓફિસરે મહેશભાઈ રાવજીભાઈ ચૌહાણ(ઉંમર આશરે ૪૬ વર્ષ)ને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે પ્રવીણભાઈ રાવજીભાઈ ચૌહાણની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે અકસ્માત સર્જનાર બાઈક ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.


Google NewsGoogle News