નડિયાદ અને મંજીપુરા ગામની સોસાયટીમાં ગટરના પાણી ઉભરાયા

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News
નડિયાદ અને મંજીપુરા ગામની સોસાયટીમાં ગટરના પાણી ઉભરાયા 1 - image


- નિરાકરણ ન આવતા રહીશોમાં આક્રોશ

- ગંદા પાણીમાંથી અવર-જવર કરવા લોકો મજબૂર, પાણીજન્ય રોગચાળો ફેલાવાનો ભય

નડિયાદ : નડિયાદ નગરપાલિકા અને મંજીપુરા ગ્રામ પંચાયતની સરહદ પર આવેલી ૨ સોસાયટીના રહીશો ગટરની સમસ્યાથી ત્રાહીમામ પોકારી ગયા છે. બિલ્ડરો દ્વારા આડેધર ગટરના કનેક્શનો આપી દેવાતા આ સમસ્યા સર્જાઇ છે.

મંજીપુરા રોડ પર જતા ફાટકથી,શ્યામ સુંદર સોસાયટી,રામકૃષ્ણનગર સોસાયટી અને મંજીપુરા ગ્રામ પંચાયતની હદમાં આવતી સહકાર સોસાયટીમાં બિલ્ડરો દ્વારા ગટરના જોડાણો આપવામાં ટેકનીકલ કોઈ બાબતોનું ધ્યાન રાખ્યુ ન હોવાનું રહીશો જણાવી રહ્યા છે. પરીણામે આ બંને સોસાયટીના ગટરના પાણીનો નિકાલ અટકી ગયો છે અને ખૂબ દૂર્ગંધયુક્તસ પાણી અહીંયા સોસાયટીઓના રસ્તા વચ્ચે ઉભરાઈને રોડ પર ભરાઈ રહે છે. સ્થાનિક રહીશો દ્વારા વારંવાર નગરપાલિકા અને મંજીપુરા ગ્રામ પંચાયતમાં રજૂઆતો કરી છે, પરંતુ એકપણ જવાબદાર તંત્ર આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં રસ દાખવતુ નથી.સહકાર સોસાયટીમાં એક મકાનમાં આંગણવાડી ચાલી રહી છે. આંગણવાડીના પગથિયા પાસે જ ગટરના પાણી ૨૪ કલાક ભરાયેલા રહે છે.આ સમગ્ર મામલે નડિયાદ નગરપાલિકાના ઈજનેર ચંદ્રેશ ગાંધીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતુ કે, આ સમસ્યાની ફરીયાદ મળી છે. જે-તે સમયે પ્રાઈવેટ બિલ્ડરો દ્વારા સોસાયટીઓના મકાનોના ગટરના જોડાણ નગરપાલિકાની લાઈનમાં આપી દીધા છે અને તેમણે આ જોડાણો આપવામાં લેવલીંગ જાળવ્યુ નથી અને તેના કારણે આ પરીસ્થિતિનું નિર્માણ થયુ છે. તેનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન ચાલુ છે. આ બાબતે મંજીપુરા ગામના સરપંચ નર્મદાબેન સોનારાએ જણાવ્યુ હતુ કે સહકાર અને અમરનાખ સોસાયટીના રહીશોએ પાલિકામાંથી ગટર કનેક્શન મેળવ્યા છે અને ટેક્સ પણ ભરે છે. જેથી તેમની આ સમસ્યાની જાણ થતા નગરપાલિકામાં જાણ કરી અને ૨ વાર જેટીંગ મશીન બોલાવી અને નિકાલ કરવા પ્રયત્ન કર્યો છે. 


Google NewsGoogle News