નડિયાદ તાલુકાની પરિણીતા પર કૌટુંબિક ભત્રીજાએ દુષ્કર્મ આચર્યું
- નડિયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
- પતિ અને બાળકોને મારી નાખવાની ધમકી આપી દોઢ વર્ષથી દુષ્કર્મ ગુજારતો હતો
નડિયાદ : નડિયાદ તાલુકાના એક ગામમાં રહેતી પરિણીતા પર તેનો કૌટુંબિક ભત્રીજો છેલ્લા દોઢ વર્ષથી અવારનવાર દુષ્કર્મ ગુજારતો હોવાની નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. નડિયાદ તાલુકાના એક ગામમાં બે સંતાનોની માતા પરિવાર સાથે રહે છે. આ પરિણીતાનો પતિ ખાનગી સિક્યુરિટીમાં રાત્રિના બારથી બપોરના બાર વાગ્યા સુધી ફરજ બજાવતો હતો.
દરમિયાન પરિણીતાની એકલતાનો લાભ ઉઠાવી તેની પડોશમાં રહેતો કૌટુંબિક ભત્રીજો રાત્રીના સમયે ઘરમાં ઘૂસી પરિણીતાને હેરાન પરેશાન કરતો હતો એટલું જ નહીં છેલ્લા દોઢ વર્ષથી કૌટુંબિક ભત્રીજો પરિણીતાને તેના પતિ તેમજ બાળકોને મારી નાખવાની ધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચરતો હતો.
આ બનાવ અંગે પરિણીતાએ તેના પતિને તમામ હકીકત જણાવી હતી. આ બનાવ સંદર્ભે ભોગ બનનાર પરિણીતાએ નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પરેશભાઈ ભેમાભાઈ સોઢા પરમાર સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.