Get The App

નડિયાદ મંજીપુરા રિંગરોડ પર કચરાના ઢગલાંથી સ્થાનિકો પરેશાન

Updated: Dec 13th, 2023

GS TEAM


Google News
Google News
નડિયાદ મંજીપુરા રિંગરોડ પર કચરાના ઢગલાંથી સ્થાનિકો પરેશાન 1 - image


- ગંદા કચરાના લીધે અસહ્ય દુર્ગંધથી લોકો ત્રસ્ત

- શહેરમાં આડેધડ કચરો ઠાલવવાના લીધે રખડતા પશુઓ કચરો ફંગોળતા હોવાથી ભારે હાલાકી

નડિયાદ : નડિયાદ શહેરના મંજીપુરા પાસેથી પસાર થતા રિંગ રોડ પર ગંદકી અને કચરાના ઢગલા ખડકાયા છે. ગંદકીઅને કચરાની દુર્ગંધથી આજુબાજુની સોસાયટીના રહીશો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.

નડિયાદ ડાકોર રોડથી બિલોદરા ચોકડી મંજીપુરા, કમળા ચોકડી થઈ ડભાણ નેશનલ હાઇવેને જોડતો રિંગ રોડ પસાર થાય છે. આ રિંગ રોડ વાહનોની અવરજવરથી ધમધમતો રહે છે. આ રોડ પર સંખ્યાબંધ સોસાયટીઓ આવેલી છે. ત્યારે મંજીપુરા રોડ પર ગંદકી કચરાના ઢગલા ખડકાયા છે. 

આ વિસ્તારમાં આવેલી દુકાનના વેપારીઓ તેમજ સ્થાનિક રહીશો કચરાપેટીમાં કચરો નાખવાને બદલે આડેધડ ગંદો કચરો ઠાલવી રહ્યા હોવાના આક્ષેપો ઉઠયાં છે. આ ગંદકીમાંથી માથું ફોડી નાખે તેવી દુર્ગંધ આવી રહી છે. 

આ ઉપરાંત રખડતા પશુઓ ખોરાકની શોધમાં કચરો વેરવિખેર કરતા હોઇ મંજીપુરા રોડ પર કચરાનું સામ્રાજય વ્યાપ્યું છે. 

આ કચરાના ઢગલા ઉપાડવામાં સંબંધિત સત્તાધિશો ભારે ઉદાસીનતા દાખવી રહ્યા હોવાનો રોષ સ્થાનિકોએ ઠાલવ્યો હતો. ત્યારે સત્વરે કચરાનો નિકાલ કરવા માંગ ઉઠી છે. 

Tags :