શાહપુરમાં સોમવારે બપોરે એકે ઘરમાં ચૂલો ન પ્રગટયો
- મૃતકની સગર્ભા પત્નીની હાલત દયનિય
- સવારથી જ ગ્રામજનો મૃતકોના ઘરે પહોંચ્યા કલ્પાંતથી સમગ્ર ગામ હિબકે ચઢ્યું
કઠલાલ : અંબાજી પાસે થયેલા અકસ્માતમાં કઠલાલના શાહપુરના ત્રણ વ્યક્તિઓના મોતથી ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ગામમાં એક પણ ઘરમાં બપોરે ચુલો પ્રગટાવ્યો ન હતો. મૃતક યુવાનની ગર્ભવતિ પત્નીની મનોસ્થિતિ અકલ્પનિય બની હતી.
કઠલાલ તાલુકાના શાહપુર ગામેથી ગત શનિવારે રાત્રિના ૧૨ વાગ્યાના સુમારે શાહપુર, વાસણા, મહીસા ગામના ૬૦ જેટલા શ્રદ્ધાળુ ભક્તો નવરાત્રીના તહેવારને લઈને અંબાજી ખાતે દર્શન કરવા ગયા હતા. જેઓ અંબાજી ખાતે દર્શન કરી પરત આવી રહ્યા હતા. ત્યારે આજે વહેલી સવારે દાંતા નજીક લક્ઝરી બસ પલટી ખાઈ જતા લક્ઝરીમાં સવાર શાહપુર ગામના ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. જેની જાણ વહેલી સવારે નાના એવા શાહપુર ગામમાં થતા જ ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. મૃતકોના ઘરે પહોંચેલા ગ્રામજનો પણ ચોધાર આંસુએ રડી પડયા હતા. ગામના કોઈ ઘરોમાં બપોરનું ભોજન બનાવ્યું ન હતું. મૃતક એક યુવાનની પત્ની ગર્ભવતી હોવાનું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું હતું. ત્યારે તે યુવાનના પત્નીની મનોસ્થિતિ અકલ્પનિય બની હતી.