મહુધામાં રોડ લેવલથી ઊંચી લાઈનોના લીધે ભૂગર્ભ ગટરની સમસ્યા કાયમી
- કાયમી નિરાકરણ લાવવા ઉચ્ચકક્ષાએ રજૂઆત
- ગંદા પાણીમાંથી પસાર થયા બાદ જ નગરજનો ધાર્મિક સ્થળો, શિક્ષણ સંસ્થાઓ કે બજારે જઈ શકે છે
મહુધા નગરના ગુજરાતી શાળા વિસ્તારમાં રહેતા અને કલેક્ટર કચેરી ખાતે પિટિશન રાઇટરનું કામ કરતા ગીરીશભાઈ મહુધામાં ભૂગર્ભ ગટરની સમસ્યાને લઈ જિલ્લા તંત્રની કુંભકર્ણની નિદ્રાથી ત્રસ્ત થઇ રાજ્યના મુખ્ય મંત્રી સમક્ષ ફરિયાદ કરી છે. અને જણાવ્યું છે કે, મહુધા નગરના મુખ્ય ધામક સ્થળો, કન્યા વિદ્યાલય, પ્રાથમિક શાળા, રાજમાર્ગો અને મુખ્ય બજારની બેન્ક અને બજારમાં ઉભરાતી ગટરો નાગરિકો માટે અસહ્ય બની છે. મહિલાઓ અને બાળકો વહેપારીઓ ભારે હેરાનગતિનો સામનો કરી રહ્યા છે ત્યારે રોગચાળો ફેલાવાની દહેશત પણ વર્તાઈ રહી છે.
નગરની ગટરોના પાણીના નિકાલ માટે રણછોડરાય મંદિર નજીક ગામના લેવલ કરતા રોડથી પણ વધુ હાઇટે ગટરના પાઇપો મહુધાની આ મુખ્ય સમશ્યાને ક્યારેય હલ થવા દેશે નહીં તેવું સ્થાનિકો કહી રહ્યા છે.
મહુધાના નગર સેવકો અને અધિકારીઓની લાપરવાહીના લીધે મહુધામાં ગટરની સમસ્યા ઠેરની ઠેર જ છે. નગરમાં ગટરની સમસ્યાનું નિરાકરણ આવશે ત્યાર બાદ જ અન્ય વિકાસના કામો કરવા જોઈએ તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે.