ચરોતરમાં વર્ષ-2024 માં સારસની સંખ્યા 177 વધીને 1,431 થઇ

Updated: Jul 4th, 2024


Google NewsGoogle News
ચરોતરમાં વર્ષ-2024 માં સારસની સંખ્યા 177 વધીને 1,431 થઇ 1 - image


- ખેડા- આણંદ જિલ્લાના 164 ગામોમાં ગણતરી કરાઈ

- વર્ષ-૨૦૧૬માં 544 સારસ હતા જે બાદ 2019 માં 772, 2022 માં 992, 2023 માં 1,254 થયા હતા : માતરના પરીએજ વેટલેન્ડ સહિતના ગામોમાં એક સાથે 99 વોલેન્ટિયર ગણતરીમાં કામે લાગ્યાં

નડિયાદ : ઉત્તરપ્રદેશનુ રાજ્ય પક્ષી ગણાતું 'સારસ' બર્ડ ગુજરાતમાં પણ જોવા મળે છે. આ પક્ષીની સૌથી મોટી વસ્તી ખેડા જિલ્લાના માતર તાલુકાના પરીએજ વેટલેન્ડ પર જ જોવા મળે છે. સમગ્ર ગુજરાતમાં ૧૮૦૦થી ૨૦૦૦ની આસપાસ 'સારસ' પક્ષીની સંખ્યા છે. તેમાથી આ પરીએજ વેટલેન્ડ પર જ મોટીસંખ્યામાં 'સારસ' બર્ડ જોવા મળી રહ્યા છે. આ માત્ર એક એવું પક્ષી છે કે જે હંમેશા જોડામાં જોવા મળે છે. ૨૧ જુન એટલે વર્ષનો લાંબામાં લાંબો દિવસ છે. ત્યારે આ દિવસે માતરના પરીએજ વેટલેન્ડ અને ખેડા-આણંદ જિલ્લાના ૧૬૪ ગામોમાં એકસાથે 'સારસ' પક્ષીની ગણતરી કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ જે ચાલે છે તે યુપીએલ અને તેની સાથે અન્ય વોલેન્ટિયર્સ મળી કુલ ૯૯ વ્યક્તિઓની ફૌજ આ દિવસે ગણતરી કરવા ફીલ્ડમાં ઉતરી હતી. જેમાં ચાલુ વર્ષ ૨૦૨૪માં ૧૪૩૧ સારસ પક્ષી નોંધાયા છે. જે? ગત વર્ષની સરખામણીમાં ૧૭૭ સારસ પક્ષીનો વધારો થયો છે.ખેડા આણંદ જિલ્લાની બોર્ડર પર આવેલા માતર તાલુકાના પરીએજ વેટલેન્ડ પર પ્રોજેક્ટ વર્ષ ૨૦૧૬થી સતત ચાલી રહ્યો છે. જેમાં હાલ ૮ વર્ષના લાંબા અંતે 'સારસ' પક્ષીની સંખ્યામાં વધારો થયો છે. સૌપ્રથમ વર્ષ ૨૦૧૫માં ૫૦૦ સારસ જોવા મળ્યા હતા. વર્ષ ૨૦૧૬માં ૫૪૪ સારસ, ૨૦૧૭મા ૬૫૭, ૨૦૧૮માં ૭૨૬, ૨૦૧૯માં ૭૭૨, ૨૦૨૦માં ૮૨૯, ૨૦૨૧માં ૯૧૫, ૨૦૨૨માં ૯૯૨ અને વર્ષ ૨૦૨૩માં ૧૨૫૪ અને એ બાદ ચાલુ વર્ષે એટલે કે વર્ષ ૨૦૨૪ની અંદર ૧૪૩૧ સારસ પક્ષીઓ જોવા મળ્યા છે. જેમાં ૧૪૧ તેના બચ્ચાઓ સામેલ છે. ખેડા-આણંદના ૧૫ તાલુકાઓમાં ૧૬૪ ગામડાઓ ૯૯ વ્યક્તિઓની ટીમ ખુદી આ સારસ પક્ષીનો ૨૧ જૂને ખાસ સર્વે કર્યો છે. અહીંયા દર વર્ષે સારસ પક્ષીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જે અહીયા ચાલતા યુપીએલ સારસ ક્રેન કનશર્વેશન પ્રોજેક્ટ અને આસપાસના ખેડૂતો અને ગ્રામજનોના સપોર્ટથી શક્ય બન્યું છે. 

પ્લાનિંગ બનાવી કાઉન્ટિંગ કરાયું

યુપીએલ પ્રોજેક્ટના હાલોલના હેડ હર્ષદ પટેલે જણાવ્યું કે, અમારો રિપોટગ ટાઈમ ૭ વાગ્યાથી હતો. આ દિવસે અમે સાત વાગ્યે બરાબર ફિલ્ડમાં ઉતરી ચૂક્યા હતા અને સારસ પક્ષીની કાઉન્ટિંગ શરૂ કરી દીધું હતું. પ્લાનિંગ બનાવી કાઉન્ટિંગ કરવામાં આવ્યું હતું.

સારસ ખેતરમાં ઈંડા મૂકે ત્યારે માળાની રક્ષા કરાય છે : ખેડૂત

તો સ્થાનિક ઇન્દ્રવણા ગામના ખેડૂત અતુલ પરમારે જણાવ્યું કે, સારસ પક્ષી જ્યારે ઈંડા મૂકે ત્યારે તેના માળાની રક્ષા કરીએ છીએ. ખેતરમાં માળો બનાવે તો આ સંસ્થાને જાણ કરીએ છીએ અને તેનું રક્ષા કવચ અમે ઊભું કરીએ છીએ. તેમજ અન્ય કોઈ પશુ પંખી તેમજ જાનવર નુકસાન ન પહોંચાડે તેની પૂરતી તકેદારી પણ રાખીએ છે.

160 ગામડાઓમાં ફરીને ગણતરી કરાઈ

પ્રોજેક્ટ કોઓડનેટર જતીન પટેલે જણાવ્યું કે, સારસ પક્ષીના જતન, સંરક્ષણ કામ આ સંસ્થા દ્વારા વર્ષ ૨૦૧૫થી અહીંયા શરૂ કરવામાં આવ્યું છે. સારસ પક્ષીની દર વર્ષે ૨૧ જૂનના રોજ વસ્તી ગણતરી કરવામાં આવે છે. જેમાં અહીંયા ૧૬૦થી વધુ ગામના નાનામોટા તળાવો અને વેટલેન્ડ પર અમારી ૯૯ વ્યક્તિની ટીમ સવારે ૭થી સાંજે ૬ વાગ્યા સુધી વસ્તી ગણતરી કરે છે.



Google NewsGoogle News