મકાન ધરાશાયી થતાં ઘાયલ દર્દીઓની સારવાર બાબતે સિવિલમાં હોબાળો

Updated: Mar 13th, 2024


Google NewsGoogle News
મકાન ધરાશાયી થતાં ઘાયલ દર્દીઓની સારવાર બાબતે સિવિલમાં હોબાળો 1 - image


- સિવિલ પ્રશાસને દર્દીઓને ફરી દાખલ કરવા પડયા

- નડિયાદમાં દર્દીઓને અધૂરી ટ્રીટમેન્ટ આપી કાઢી મૂક્યાના આક્ષેપ સાથે વિરોધ કરી ઘેરાવો કરાયો

નડિયાદ : નડિયાદ સિવિલ હોસ્પિટલ પ્રશાસન મકાન ધારાશાયી થવાની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા દર્દીઓની યોગ્ય સારવાર ના આપવા મામલે ભીંસમાં મુકાયું છે. દર્દીઓની યોગ્ય તપાસ કરવાને બદલે માત્ર પ્રાથમિક સારવાર આપી કાઢી મૂક્યા હતા. ત્યારબાદ દર્દીઓને વધારે નુકશાન થયું હોવાની અસર જણાતા પુનઃ સિવિલમાં સારવાર માટે જતા તેમની સારવાર કરવામાં ન આવી હોવાથી મામલો ગરમાયો હતો. આ દરમિયાન મોડી સાંજે નડિયાદ કોંગ્રેસના અગ્રણીઓ પણ સિવિલમાં પહોંચ્યા હતા અને હોબાળો કર્યો હતો.

નડિયાદમાં ગઈકાલે મરીડા ભાગોળ નજીક વિસ્તારમાં એક નિર્માણાધીન મકાનનો પહેલા માળનો સ્લેબ ધરાશાયી થતા ત્યાં કામ કરતા મજૂરો ઇજાગ્રસ્ત થયા હતા. જેથી તેમને તાત્કાલિક નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડયા હતા. જોકે ઘટનાની તુરંત બાદ તેમને સારવાર માટે ખસેડાયા હોવાથી સિવિલ પ્રશાસને માત્ર પ્રાથમિક સારવાર આપી મજૂરોને રજા આપી દીધી હતી અને તેમની કોઈ ખાસ તપાસ કે રિપોર્ટ કરાયો ન હતા. જેથી ઇજાગ્રસ્ત દર્દીઓ તેમને વધારે નુકસાન થયું હોવાનું જણાવતા આજે પુનઃ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે પહોંચ્યા હતા.

દરમિયાન નડિયાદ સિવિલ પ્રશાસને બપોરથી માંડી મોડી સાંજે ૭ વાગ્યા સુધી આ દર્દીઓને કોઈપણ પ્રકારની સારવાર આપી ન હતી. તેમજ સિવિલ હોસ્પિટલની બહાર બેસી રહેવા માટે મજબૂર કરાયા હતા. ત્યારે આ સમગ્ર ઘટના કોંગ્રેસ સહિતના લોકોને ધ્યાનમાં આવતા તમામ લોકો સિવિલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં હોબાળો થતા નડિયાદ સિવિલ પ્રશાસન ભીંસમાં મુકાયું હતું. તેમજ દર્દીઓને જરૂરી તપાસ કર્યા વગર રજા આપી દેવા મામલે જવાબ આપવામાં સિવિલના જવાબદારો છટકબારી કરતા જોવા મળ્યા હતા. જેથી નડિયાદ શહેર કોંગ્રેસના હોદ્દેદારો સહિત કાર્યકરોએ હોબાળો કરતા સિવિલ હોસ્પિટલમાં આ દર્દીઓને ફરીથી દાખલ કરી તપાસ કરવાની કામગીરી હાથ ધરાઈ છે.


Google NewsGoogle News