Get The App

નડિયાદ તાલુકા મધ્યાહ્ન ભોજન કર્મચારી મંડળ દ્વારા આવેદનપત્ર

Updated: Sep 17th, 2022


Google News
Google News
નડિયાદ તાલુકા મધ્યાહ્ન ભોજન કર્મચારી મંડળ દ્વારા આવેદનપત્ર 1 - image


- પગારના ધારાધોરણમાં સુધારો અને પડતર માંગણી માટે

- 19 મીએ ધરણા અને 20 મી સપ્ટેમ્બરથી અચોક્કસ મુદતની હડતાલ અને ચૂંટણી કામગીરીનો બહિષ્કાર કરવાની ચીમકી

નડિયાદ : નડિયાદ તાલુકા મધ્યાહ્ન ભોજન કર્મચારી મંડળ દ્વારા ગ્રામ્ય મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં પગારના ધારાધોરણમાં સુધારો કરવા અને વિવિધ પડતર માંગણીઓ કરવામાં આવી છે.

નડિયાદ ગ્રામ્ય તાલુકા મ.ભો. યોજનાના પ્રમુખ, ઉપપ્રમુખ, તથા અન્ય સંચાલકો દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા લાખો બાળકોને મધ્યાહ્ન ભોજનનો લાભ આપવામાં આવે છે. પરંતુ આ યોજનામાં ફરજ બજાવતા કર્મચારીઓને નજીવું માનદ વેતન ચૂકવવામાં આવે છે. જેઓને માસિક ૧૬૦૦ રૂ., ૧૪૦૦ રૂ., ૫૦૦ રૂ. અને ૩૦૦ રૂ. જેટલું માનદ વેતન આપવામાં આવે છે. જેની સરખામણીએ અન્ય રાજ્યોમાં વધુ વેતન આપવામાં આવે છે.  ઉપરાંત સરકાર દ્વારા બાળકોને પીરસવામાં આવતા ભોજનના બે ભાગ કરી નાસ્તો  અને બપોરનું ભોજન એમ અલગ કરવામાં આવ્યા છે. પરંતુ આ માટે અલગથી કોઇપણ પ્રકારનો અજાનોનો જથ્થો ફાળવવામાં આવતો નથી. અને કુકીંગના ભાવમાં વધારો પણ કરવામાં આવેલ નથી. હાલમાં ધોરણ ૧ થી પમાં એક બાળક દીઠ ૨.૮૮ અને ધોરણ ૬ થી ૮માં ૪.૩૧ મુજબ કુકીંગ કોસ્ટ ચુકવવામાં આવે છે. ઉપરાંત રાંધણગેસના અસહ્ય ભાવ વધારા બાદ હાલની ધરખમ મોંઘવારીમાં ઘણું મોંઘુ પડે છે. આ ઉપરાંત કર્મચારીઓએ તેમના પગારમાં માનદ વેતન શબ્દ દૂર કરી લઘુતમ વેતનના ધારાધોરણ મુજબ પગાર ચૂકવવામાં આવે તેવી પણ માંગ કરી છે.  આ માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે તો કર્મચારીઓ દ્વારા આગામી ૧૯મી સપ્ટેમ્બરના રોજ ધરણા અને ૨૦મી સપ્ટેમ્બરથી અચોક્કસ મુદતની હડતાલ અને વિધાનસભાની ચૂંટણીની દરેક પ્રકારની કામગીરીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આવેદનપત્ર રાજ્ય મંડળ દ્વારા મુખ્યમંત્રીને પણ રજૂ કરી સત્વરે માંગણીઓ પૂરી કરવા રજૂઆત કરી છે. 

Tags :
ApplicationNadiad-Taluka-MiddayPersonnel-Board

Google News
Google News