નડિયાદ સરદાર ભવનમાં કચેરીઓના બોર્ડ નહીં હોવાથી અરજદારો પરેશાન
- રિનોવેશનમાં વિભાગોના બોર્ડ ઢંકાઈ ગયા
- 4 બ્લોક અને 3 માળની સરકારી ઈમારતમાં ઘણી કચેરીઓ અન્ય સ્થળે ખસેડાઈ જતા શોધવી મુશ્કેલ
નડિયાદ શહેરની મધ્યમાં આવેલા સરદાર પટેલ ભવનમાં ચાર બ્લોક તેમજ ત્રણ માળ આવેલા છે. જેમાં સમાજ કલ્યાણ, સમાજ સુરક્ષા ખાતાની કચેરીથી લઈને સરકારના મોટા ભાગના અધિકારીઓ સહિત વિભાગોની કચેરીઓ કચેરીઓ આવેલી હોલવાથી ભવન અરજદારોથી ધમધમતું રહે છે.
અગાઉ ભવનમાં ગ્રાઉન્ડ ફ્લોર તેમજ પહેલા માળના પ્રવેશ દ્વાર આગળ કઈ કચેરી, કયા બ્લોક અને કયા માળે આવી છે તે દર્શાવતું બોર્ડ લગાવેલું હતું. પરંતુ રિનોવેશનમાં જાણકારી આપતું બોર્ડ ઢંકાઈ ગયું છે. વધુમાં ગ્રામ વિકાસ એજન્સી, વોટર સેડ જળ સ્રાવ વિકાસ એકમ સહિત ઘણી કચેરીઓ અન્ય સ્થળે ખસેડવામાં આવી છે. જ્યારે સીટી સર્વે તેમજ જમીન એકત્રીકરણ કચેરી સરદાર ભવન ના પહેલા માળે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર કાર્યરત કરવામાં આવી છે. જ્યારે નાયબ નગર નિયોજકની કચેરી વર્ષોથી ગ્રાઉન્ડ ફ્લોર પર કાર્યરત હતી. આ કચેરીને એ બ્લોકમાં પહેલા માળે કાર્યરત કરવામાં આવી છે. જેથી વિવિધ સરકારી કામ અર્થે આવતા અરજદારોને એક બ્લોકમાંથી બીજા બ્લોકમાં એમ ધક્કા ખાવાની નોબત આવી છે. ત્યારે અરજદારોની સરળતા માટે સરદાર ભવનમાં આવેલી કચેરીઓને લગતી જાણકારી દર્શાવતું બોર્ડ લગાવવા માંગણી ઉઠી છે.