વૈડપ ગામે તળાવમાં નહાવા પડેલા યુવાનનું ડૂબી જતા મોત
- તળાવમાં ડૂબીને મૃત્યુ પામવાનો સિલસિલો યથાવત્
- ધૂળેટીના પર્વે બાયડ તાલુકાના ઈન્દ્રાણથી યુવાન બહેનને મળવા આવ્યો હતો
ખેડા જિલ્લાના ગર્લતેશ્વર તાલુકાના છેવાડાના ગામ બૈડપ ગામે બુધવારે સવારે ગામ નજીક આવેલા મોટા તળાવમાં અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સુરેશભાઈ જ્હોરાભાઈ સોલંકી (ઉં.વ. આશરે ૪૦) નહાવા પડયો હતો. ત્યારે તે તળાવની ચીકણી માટીમાં પેસી જતા પાણીમાં ડૂબી જવાથી તેનું મોત થયું હતું. મૃતક સુરેશભાઈ બે દિવસ પેહલા તેમના વતન ઇન્દ્રાણથી બૈડપ તેમના બનેવી નટવરભાઈ ગુલાબભાઇ પરમારના ઘરે બહેન- બનેવીને મળવા અને હોળી- ધૂળેટી કરવા આવેલા હતા. અને આજે બુધવારે બપોરે તેમના વતને પાછા જવાના હતા તેવી માહિતી બૈડપ ગામના સરપંચે આપી હતી. તળાવમાં વ્યક્તિ ડૂબ્યાની વાત વાયુવેગે પ્રસરતા ટોળા ઉમટયા હતા. સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહને બહાર કઢાયો હતો. ત્યારે ઘટનાની જાણ થતા નાના ગામ બૈડપ અને મૃતકના વતન ઇનરૈણ ગામમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. સેવાલિયા પોલીસ મૃતદેહને પીએમ માટે લઇ જઈ તપાસ કરી રહી છે.