નડિયાદ તાલુકાના મંજીપુરામાં પ્રાથમિક શાળાની ઇમારત જર્જરિત બની ગઈ
- બીમમાં પણ ભયજનક તિરાડો પડી ગઇ
- છતમાં લોખંડના સળિયા બહાર નીકળી અવતા પોપડા પડતા બાળકો માટે જીવનું જોખમ
નડિયાદ તાલુકાના મંજીપુરા ગામે પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૮ સુધીના શિક્ષણની સુવિધા છે. મંજીપુરા પ્રાથમિક શાળાના ઓરડાઓ ઘણા સમયથી જજરિત હાલતમાં છે, છત તેમજ લોબીમાં સ્લેબના સળિયા દેખાઈ રહ્યા છે જ્યારે બીમમાં પણ ભયજનક તિરાડો પડી છે. શાળાની ઇમારતના છતના સ્લેબના પોપડા તૂટીને બાળકો પર પડી રહ્યા છે.
શાળાની ઇમારત ઘણા સમયથી ભયજનક હાલતમાં છે. આ શાળાના ઓરડા તોડી પાડી નવા ઓરડા બનાવવા અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ જ કાર્યવાહી ન થતા ગ્રામજનોમાં ઉગ્ર રોષ વ્યાપ્યો છે. આ જર્જરિત ઇમારત માં જીવના જોખમે શિક્ષકો શૈક્ષણિક કામગીરી કરી રહ્યા છે.
શાળાના છત પરથી પોપડા પડતા હોઈ બાળકોની સલામતી જોખમમાં મૂકાઇ છે, ત્યારે શિક્ષણ ખાતા દ્વારા વહેલી તકે શાળાના નવા ઓરડા બનાવવા શાળા વ્યવસ્થાપન સમિતિએ માંગણી કરી છે.