ચકલાસીના ભઈજીપુરા પાસે સામસામે બે બાઈકો અથડાતા ચાલકનું મોત

Updated: Jun 29th, 2024


Google NewsGoogle News
ચકલાસીના ભઈજીપુરા પાસે સામસામે બે બાઈકો અથડાતા ચાલકનું મોત 1 - image


- રોંગ સાઈડ આવતા બાઈક ચાલક વિરૂદ્ધ ગુનો

- બેલંગીપુરાના આધેડ નવું વીજ કનેકશન લેવા જીઈબી કચેરીએ ગયા હતા ત્યારે અકસ્માતમાં મૃત્યુ

નડિયાદ : ચકલાસી ભાલેજ રોડ ઉપર ભઈજીપુરા જીઇબી નજીકથી પસાર થતી મોટરસાયકલ સાથે રોંગ સાઈડ પર સામેથી આવેલી મોટર સાયકલ અથડાઈ હતી. આ અકસ્માતમાં બંને બાઈક ચાલકને રોડ પર પટકાતા ઈજા થઈ હતી. જે પૈકી એકનું ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ચકલાસી પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

નડિયાદ તાલુકાના ચકલાસી તાબેના બેલંગીપુરામાં રહેતા વજેસિંહ શંકરભાઈ વાઘેલા શુક્રવારે સવારે મોટરસાયકલ લઈને નવું વીજ કનેક્શન મેળવવા જીઇબીમાં જવા નીકળ્યા હતા. દરમિયાન ૧૧ વાગ્યાના સુમારે ભઈજીપુરા જીઇબી નજીક ભાલેજ તરફથી પૂરઝડપે આવેલા બાઈક ચાલકે રોંગ સાઈડ આવી મોટરસાયકલ સાથે અથડાતા બંને બાઈક ચાલકને રોડ ઉપર પટકાતા ઇજા થઈ હતી. જે પૈકી વજેસિંહ શંકરભાઈ વાઘેલાને માથામાં તેમજ શરીર પર ગંભીર ઇજા થઈ હતી. આ અકસ્માત સર્જાતા આજુબાજુના લોકોએ દોડી આવી ઇજાગ્રસ્તને તુરંત જ ટેમ્પી મારફતે સારવાર માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના મેડિકલ ઓફિસરે વજેસિંહ વાઘેલા (ઉં.વ.૫૩)ને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મૃતકના ભાઈ રામસિંહ શંકરભાઈ વાઘેલાની ફરિયાદના આધારે ચકલાસી પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


Google NewsGoogle News