નડિયાદમાં બાઈકની ટક્કરે 12 વર્ષીય બાળકીનું મોત
નડિયાદ : નડિયાદમાં ડાકોર રોડ પર રહેતા સુરેશભાઈ તળપદા પત્ની અને પાંચ દીકરીઓ તથા બહેન-બનેવી સાથે મોટી કેનાલ ધોધ પાસે બાધા કરવા માટે ગયાં હતાં. સુરેશભાઈ પરિવારને ધોધ પાસે ઉતારી રિક્ષા પાર્ક કરવા ગયા હતા. ત્યારે ફતેપુરા કેનાલ તરફથી નડિયાદ તરફ પુરઝડપે આવતા બાઈકના ચાલકે રોડની સાઈડમાં ઉભેલી સુરેશભાઈની ૧૨ વર્ષની દીકરી દિવ્યાને ટક્કર મારી હતી. બાળકીને ગંભીર ઈજાઓ પહોંચતા પરિવાર તેણીને ત્રણ હોસ્પિટલમાં લઈ ગયો હતો. ત્રીજી હોસ્પિટલમાં ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરતા પરિવાર પર આભ તૂટી પડયું હતું. આ અંગે નડિયાદ ટાઉન પોલીસે બાઈક ચાલક કેયુર વિજયભાઈ પરમાર (રહે. મહોળેલ, તા. નડિયાદ) સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.