Get The App

લક્ઝરી બસ પલટતાં 4 મુસાફરોનાં મોત : 51 ઘાયલ

Updated: Oct 8th, 2024


Google NewsGoogle News
લક્ઝરી બસ પલટતાં 4 મુસાફરોનાં મોત : 51 ઘાયલ 1 - image


- યાત્રાધામ અંબાજીના ત્રિશુળિયા ઘાટ નજીક અકસ્માત સર્જાયો

- કઠલાલના શાહપુર અને મહેસા  ગામના યાત્રિકો અંબાજી મંદિરે દર્શન કરીને ઊંઝા ઉમિયા માતાના મંદિરે જઈ રહ્યાં હતા

પાલનપુર : યાત્રાધામ અંબાજી નજીક ત્રિશુપાળીયાઘાટ ઉપર સવારના સમયે પસાર થઇ રહેલી એક ખાનગી લક્ઝરી બસની અચાનક બ્રેક ફેઇલ થતા ડ્રાઈવરે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવી દેતાં બસ રોડ સાઈડમાં પલ્ટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટનાસ્થળે બસ ચાલક સહિત બે વ્યકિતના મોત નીપજ્યા હતા. જ્યારે બાવન લોકો ઘાયલ થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગંભીર ઘાયલ એક નાના બાળકનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના શાહપુર અને મહેસા ગામના યાત્રિકોની ખાનગી બસને અંબાજીના ત્રિશુંપાળીયાઘાટ ઉપર અકસ્માત નડયો હતો. શનિવારે બે દિવસની યાત્રાએ નીકળેલા આ યાત્રીઓ શામળાજી અને ખેડબ્રહ્મા દર્શન કર્યા બાદ રવિવારે અંબાજીમાં કોટેશ્વરમાં રોકાણ કર્યું હતું. અને સોમવારે સવારે અંબાજી ખાતે મંદિરમાં દર્શન કરી લક્ઝરી લઇ ઊંઝા ખાતે ઉમિયા માતાજી દર્શન કરવા જઈ રહ્યા હતા. તે દરમિયાન ત્રિશુંપાળીયાઘાટ ઉપર ચાલુ બસની અચાનક બ્રેક ફેઇલ થઇ જતાં ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવી દેતાં બસ રોડ સાઈડમાં પલ્ટી જતાં ચિચિયારીઓ ગૂંજી ઉઠી હતી. જેમાં બસ ચાલક સદામહુસેન મુસ્તુફામીયા ખોખર (રહે.મહુધા, જી.ખેડા) તેમજ ધર્મેશ દાલાભાઈ સોલંકી (રહે.શાહપુર, તા.કંઠલાલ) વાળાનાં ઘટનાસ્થળ ઉપર મોત નીપજ્યા હતા. 

તેમજ  બાવન જેટલા લોકો ઘાયલ થતાં તેમને ૧૦૮ તેમજ ખાનગી વાહનો મારફતે તાત્કાલિક સારવાર અર્થે દાંતા અને બાદમાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં ગંભીર થયેલા નાની શાહપુર ગામના ત્રણ વર્ષિય  જિગ્નેશ સોલંકી નામના બાળકનું મોત નિપજ્યું હતું. 

અંબાજીથી ઊંઝા જતા પ્રવાસીઓને અકસ્માત નડયો

ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં શાહપુર અને મહેસા ગામના ૬૦ જેટલા યાત્રીઓ શનિવારે બે દિવસની જાત્રાએ નીકળ્યા હતા. જેઓ શામળાજી અને ખેડબ્રહ્મા ખાતે દર્શન કર્યા બાદ રવિવારે કોટેશ્વર ના રાત્રી રોકાણ કરી સોમવારે અંબાજી ખાતે માતાજીના દર્શન કરી બાદમાં લકઝરીમાં સવાર થઇ ઊંઝા ઉમિયા માતાજી દર્શન કરવા નીકળ્યા હતા , તે દરમિયાન રસ્તામાં અકસ્માત નડયો હતો.

કલેક્ટર અને એસપીએ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું 

ત્રિશુંળીયા ઘાટ ઉપર બસ પલ્ટી જવાના બનાવમાં ત્રણના મોત અને બાવન  લોકો ઘાયલ થતા હાહાકાર મચી જવા પામ્યો હતો. જેને લઇ જિલ્લા કલેકટર, એસપી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવી ઘટનાનું નીરક્ષણ કર્યું હતું. બાદમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ ઇજાગ્રસ્ત લોકોની મુલાકાત કરી તેમને જરૂરી સારવાર પૂરી પાડવા સૂચનાઓ આપી હતી.

ડ્રાઈવરની બેદરકારીથી અકસ્માત

આ ગંભીર અકસ્માતમાં અનેક સાક્ષીઓ પેસેન્જર તરીકે બસમાં સવાર હતા. તે પૈકીના એક  મુસાફરે જણાવ્યું હતું કે અકસ્માતનું એકમાત્ર કારણ બસ ચાલક છે. જેણે બેદરકારીથી બસ ચલાવી નહતી અને જોખમી કટ માર્યા હતા. તેમજ વારંવાર મોબાઇલનો ઉપયોગ કરતો હતો અનેદરકારીથી અકસ્માત થયો છે.

મૃતકોનાં નામ

(૧) સદામહુસેન મુસ્તુફામીયા ખોખર ( રહે.મહુધા જી.ખેડા) (લક્ઝરી ચાલક) 

(૨) ધર્મેશ દાલાભાઈ સોલંકી (ઉ.વ.૨૫, રહે.શાહપુર, તા.કંઠલાલ) 

(૩) યશ જિગ્નેશભાઇ સોલંકી  (ઉ.વ.૩ ર, હે.નાની શાહપુર, તા.કંઠલાલ)

(૪) સેજલબેન અભયસિંહ સોલંકી (ઉ.વ.૧૭, હે.નાની શાહપુર તા.કંઠલાલ)

બસમાં યાંત્રિક ખામીની તપાસ કરાશે : પીઆઈ

તપાસ અધિકારી પીઆઈએ જણાવ્યું હતું કે, અમારા પ્રાથમિક ઇન્વેસ્ટિગેશનમાં બહાર આવ્યું છે કે, આ બસના તમામ મુસાફરો ખેડા નડિયાદના હતા અને મા અંબેના દર્શન કરવા માટે યાત્રાધામ આવ્યા હતા. આ બસ આજે વહેલી સવારે અંબાજીથી પરત ખેડા જતી હતી. બસમાં ૫૦થી વધુ મુસાફરો હતા અને બસને ચલાવતો ચાલક નિષ્કાળજી અને બેદરકારી દાખવતા અકસ્માત થયાનું પ્રાથમિક તારણ છે. જોકે બસમાં આ અકસ્માતમાં કોઈ યાંત્રિક ખામી સર્જાય છે કે નહીં તેની પણ તપાસ થશે. ત્રણ લોકો આકસ્માતમાં એ મોતને ભેટયા છે. જ્યારે જે ૫૦ થી પણ વધુ ઘાયલ હતા તે તમામને વિવિધ હોસ્પિટલોમાં સારવારથી તાત્કાલિક ખસેડવામાં આવ્યા છે.


Google NewsGoogle News