જામનગરના યુવાનનું પર્યાવરણ બચાવવાના સંદેશ સાથે સાયકલ ઉપર 8 રાજયનુ ભ્રમણ

Updated: Oct 21st, 2023


Google NewsGoogle News
જામનગરના યુવાનનું પર્યાવરણ બચાવવાના સંદેશ સાથે સાયકલ ઉપર 8 રાજયનુ ભ્રમણ 1 - image

જામનગર,તા.21 ઓક્ટોબર 2023,શનિવાર

ભાગાદોડી અને હરીફાઈના યુગમાં લોકોને પોતાના માટે સમય મળતો નથી. પર્યાવરણ બચાવ માટે અને સ્વાસ્થય સારૂ રાખવા સાયક્લિંગ સારી કસરત માનવામાં આવે છે. જે સંદેશ દ્વારા જામનગરના 47 વર્ષીય યુવાને 8 રાજયનુ 116 દિવસમાં પ્રવાસ કરીને અંદાજે 60 હજારથી વધુ લોકોને મળીને આ સંદેશ આપ્યો છે. 

જામનગર શહેરના નંદવન સોસયટીમાં રહેતા 47 વર્ષીય ગોવિંદ હમીર નંદાણીયાએ પર્યાવરણ બચાવ માટેનો સંદેશ આપવા 8 રાજયનો પ્રવાસ ખેડયો. 116 દિવસમાં 7900 કિમી યાત્રા પુર્ણ કરીને જામનગર પહોંચ્યા. ત્યારે આહિર સમાજના આગેવાનો દ્રારા સન્માનિત કરીને આવકાર્વામાં આવ્યા. 

ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલા ગોવિંદ હામિર નંદાણિયાએ ગત 28 જુન 21 ના રોજ જામનગરથી સાયકલ યાત્રા શરૂ કરી હતી. 3 માસ અને 26 દિવસ એટલે કે 116 દિવસમાં કુલ 7900 કિમીનો પ્રવાસ ખેડીને પરત ફર્યા. 8 રાજયમાં સાયકલથી પ્રવાસ પુર્ણ કર્યો. 

ભારતના 8 રાજયમાં સાયકલથી પ્રવાસ કરીને વિવિધ જગ્યાએ વિવિધ લોકોને અને સંસ્થાઓને મળીને પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો. ગુજરાત, રાજસ્થાન, પંજાબ, જમ્મુ, કાશમીર, લદાખ, હિમાચલ પ્રદેશ, હરીયાણા સહીતના 8 રાજયમાં સાયકલથી પ્રવાસ ખેડીને અડધા લાખથી વધુ લોકોને મળીને પર્યાવરણ બચાવ અને સાયકલ ચલાવવા અંગે અપીલ કરી છે. 

જામનગરના યુવાનનું પર્યાવરણ બચાવવાના સંદેશ સાથે સાયકલ ઉપર 8 રાજયનુ ભ્રમણ 2 - image

સપ્તાહમાં એક દિવસ સાયકલનો પ્રવાસ કરવા ગ્રુપ બનાવવા અપીલ

ગોવિંદ નંદાણિયાએ 116 દિવસના પ્રવાસમાં દેશના 8 રાજયમાં વસતા 60 હજારથી વધુ લોકોને મળીને પર્યાવરણ બચાવવા અંગે સંદેશ આપ્યો છે. સાયકલ ચલાવવાથી સારી કસરત થાય છે અને નિયમિત સાયકલનો પ્રવાસના થઈ શકે તો સપ્તાહમાં એક દિવસ સાયકલનો પ્રવાસ કરવો જોઈએ. જે માટે મિત્ર, સ્નેહીજનો સાથે મળીને સાયક્લિંગ માટે ગ્રુપ બનાવીને આસપાસના સ્થળો પર સપ્તાહમાં એક દિવસનો પ્રવાસ કરવો જોઈએ. 

પર્યાવરણ બચાવવા માટે અને પોતાના સ્વાસ્થયને જાળવવા માટે સપ્તાહમાં એક દિવસ રજાના દિવસે સાયક્લિંગ કરવુ જોઈએ. અનેક લોકોએ અપીલને અપનાવીને સપ્તાહમાં એક દિવસ સાયકલથી પ્રવાસનુ આયોજન અને અમલીકરણ શરૂ કર્યુ છે. 

116 દિવસનો યાદગાર પ્રવાસ

સાયકલથી 8 રાજયમાં પ્રવાસમાં સૌથી વધુ પ્રેમ, આદર, સત્કાર, મહેમાનગતિ,માન સન્માન ગુજરાતમાં મળ્યુ. ગુજરાતના લોકો વધુ માયાળુ હોવાનુ ગોવિંદ નંદાણિયાએ જણાવ્યુ. સાથે પ્રવાસ દરમિયાન જમ્મુ કાશ્મીર અને લદાખ વિસ્તારમાં સુરક્ષા એજન્સીના જવાનોએ ખુબ સહકાર અને મદદરૂપ થયા. સાયકલ સાથે દૈનિક 10 કલાકનો અને સરેરાશ 100 થી 120 કીમીનો પ્રવાસ કરતા. 116 દિવસમાં બે ટાયર, પેન્ડલ બદલવવા પડયા અને પાંચ વખત સાયકલને રીપેર કરી હતી. કેટલાક વિસ્તારમાં ચાલીને પ્રવાસ પુર્ણ કર્યો. દિવસના અજવાળે જ પ્રવાસ કરતા. 15 ઓગષ્ટે કારગીલ વોર મેમોરીયલમાં જવાનો સાથે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી હતી.


Google NewsGoogle News