જામનગરની આયુર્વેદ કોલેજમાં નોકરી કરતી મહિલા સોશિયલ મીડિયાના માધ્યમથી ઠગબાજોનો શિકાર બની, 15 લાખની છેતરપિંડીનો ગુનો નોંધાયો

Updated: Aug 1st, 2024


Google NewsGoogle News
જામનગરની આયુર્વેદ કોલેજમાં નોકરી કરતી મહિલા સોશિયલ મીડિયાના માધ્યમથી ઠગબાજોનો શિકાર બની, 15 લાખની છેતરપિંડીનો ગુનો નોંધાયો 1 - image

image : Freepik

Jamnagar News : જામનગરની આયુર્વેદ કોલેજમાં નોકરી કરતા એક મહિલા કર્મચારી ઠગબાજોનો શિકાર બન્યા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી મનીલોન્ડરિંગ અને હ્યુમન ટ્રાફિકના નામે મહિલા સાથે રૂપિયા 15 લાખની છેતરપિંડી કરી હોવાનો મામલો સામે આવતાં ભારે ચકચાર જાગી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા અને આયુર્વેદ કોલેજમાં નોકરી કરતા વર્ષાબેન રમણીકલાલ સોલંકી જાહેર કર્યું છે, કે તેઓ ઓનલાઇન શિકાર બન્યા હતા, અને પોતાના મોબાઈલ ફોન પર વોટ્સએપ અને વીડિયો કોલિંગ કરી અને કસ્ટમ ઓફિસર તથા પોલીસ ઓફિસર તરીકેની ખોટી ઓળખ આપીને પાર્સલમાંથી ચાર ક્રેડિટ કાર્ડ અને 170 ગ્રામ એમ.ડી.પાવડર તમારા આધારકાર્ડના ઉપયોગથી પાર્સલ મારફતે મળી આવ્યું છે, અને કર્ણાટક, દિલ્હી, પંજાબ, તામિલનાડુ અને મહારાષ્ટ્ર રાજ્યમાં જુદી-જુદી બેંકમાં તમારા નામના એકાઉન્ટ ખોલેલાં છે.

ફરિયાદી મહિલાનું આધારકાર્ડ મનીલોન્ડરિંગ તથા હ્યુમન ટ્રાફિકીંગના ગુનામાં ઉપયોગમાં લેવાયું છે તેમ જણાવી ડર બતાવ્યો હતો. અને તેઓ આ ગુનામાં કોઈપણ રીતે સંડોવાયા નથી તેવું સર્ટીફીકેટ મેળવવું હોય તો રૂપિયા આપવા પડશે તેવી માંગણી કરી હતી.

ત્યારબાદ બેંક મારફતે રૂપિયા 15 લાખ ટ્રાન્સફર કરાવી લઈ ઓનલાઈન છેતરપિંડી કરી હતી. જે મામલો જામનગરના સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં લઈ જવાયા બાદ વર્ષાબેન સોલંકીની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો સામે સાયબર ક્રાઇમ પોલીસે આઈપીસી કલમ 384, 420, 419, 170, 120(બી), તેમજ આઈ.ટી.એક્ટ કલમ 66(ડી) મુજબ અજાણ્યા શખ્સો સામે ગુનો થયો છે અને તપાસનો દોર હાથ ધર્યો છે.


Google NewsGoogle News