જામનગરમાં કરિયાણાના વેપારીની પત્નીનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News
જામનગરમાં કરિયાણાના વેપારીની પત્નીનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત 1 - image


Jamnagar Suicide Case : જામનગરના ગોકુલનગર નજીક શાયોના શેરીમાં રહેતા અનાજ કરિયાણા અને લોટ દળવાની મીલના વેપારીની પત્નીએ ગઈકાલે પોતાના ઘેર રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. સમગ્ર મામલે પોલીસે મૃતકના માતા પિતાને વતનમાંથી જામનગર બોલાવ્યા બાદ વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગોકુલ નગર રોડ પર શાયોના શેરી નંબર-2 માં રહેતા અને પોતાના ઘરમાં જ નીચેના ભાગે અનાજ કરિયાણાની દુકાન તેમજ લોટ દળવાની મિલ ચલાવતા હિમાંશુભાઈ ઘનશ્યામભાઈ નામના વેપારી યુવાનની પત્ની નિશાબેન (ઉંમર વર્ષ 25)એ ગઈકાલે રાત્રે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળા ફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે.

આ બનાવ અંગે દુકાનદાર હિમાંશુભાઈ બાવાજીએ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝનના પી.એસ.આઇ. આર.ડી ગોહિલ બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને નિશાબેનના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

નિશાબેનને સંતાનમાં બે પુત્રીઓ છે, જ્યારે તેણે કયા સંજોગોમાં આત્મહત્યાનું પગલું ભરી લીધું, તે જાણવા માટે નિશાબેનના માતા-પિતા કે જેઓ દેહગામમાં રહે છે, તેઓને જામનગર બોલાવી લીધા છે. તેઓના નિવેદન બાદ સમગ્ર મામલો સામે આવે તેમ મનાય છે. આ બનાવમાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.


Google NewsGoogle News