જામનગરમાં આવી પહોંચી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળની શૌર્ય જાગરણ યાત્રા : ઠેર ઠેર સ્વાગત

Updated: Oct 2nd, 2023


Google NewsGoogle News
જામનગરમાં આવી પહોંચી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળની શૌર્ય જાગરણ યાત્રા : ઠેર ઠેર સ્વાગત 1 - image


- આગામી 5 ઓકટોબરે શૌર્ય જાગરણ યાત્રા થશે સંપન્ન, ગુરૂવારે પ્રદર્શન ગ્રાઉન્ડમાં માયાભાઈ આહીર સહિતના કલાકારોનો ભવ્ય લોકડાયરો યોજાશે

- લાખાબાવળ થી જામનગર મહાનગરમાં યાત્રાનું થયું આગમન: દરરોજ રાત્રિના સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો: નારણપરમા 60 યુવકોને અપાઈ ત્રિશુલ દીક્ષા

જામનગર,તા.02 ઓક્ટોબર 2023,સોમવાર

જામનગરમાં આજથી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની શૌર્ય જાગરણ યાત્રાનું આગમન થયું છે. જામનગરની ભાગોળે આવેલા લાખાબાવળ ખાતેથી જામનગર મહાનગરમાં પ્રવેશ કરતા જ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. યશ્વીબા અને કુમારિકાઓએ શૌર્ય જાગરણ યાત્રાના સામૈયા કર્યા હતા. બાદમાં આ યાત્રા આજે ગોરધનપર, દરેડ, દડિયા, નારણપર, જી.આઇ. ડી.સી ફેસ-2, નાઘુના, હર્ષદપુર, મોખાણા, ખીમલિયા, મોરકંડા, ઠેબા પહોચી છે. બપોરબાદ ઠેબાથી આ યાત્રા જામનગરની ભાગોળે આવેલા ગ્રામ્ય વિસ્તારમાં ફરશે. અને રાત્રે નકલંક રણુજા, ગોકુલપરા ખાતે રાત્રિ વિશ્રામ કરશે. જ્યાં રાસ ગરબાની રમઝટ સાથે સંતો મહંતોના આશીર્વાદ પણ કાર્યક્રમ દરમ્યાન મળશે.

જામનગરમાં આવી પહોંચી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળની શૌર્ય જાગરણ યાત્રા : ઠેર ઠેર સ્વાગત 2 - image

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની શૌર્ય જાગરણ યાત્રા આવી પહોંચતા બજરંગ દળના સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક રવિરાજસિંહ જાડેજા, વિશ્વ હિન્દુ પરિષદના વિભાગ અધ્યક્ષ ભરત ડાંગરિયા, જામનગરના ઉપાધ્યક્ષ અને યાત્રાના સંયોજક રમેશ તારપરા, ઉપાધ્યક્ષ સુબ્રમણયમ પીલે, મંત્રી હેમંતસિંહ જાડેજા, જિલ્લા પ્રચાર પ્રસાર સંયોજક કિંજલ કારસરીયા, વિશેષ સંપર્ક સંયોજક કલ્પેન રાજાણી, અગ્રણી ઉદ્યોગપતિ નિલેશ વાટલીયા, બજરંગદળ શહેર સહ સંયોજક ભૈરવ ચાંદ્રા, વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના માતૃશક્તિ સહ સંયોજિકા હીનાબેન અગ્રાવત, જામનગર શહેર સહસયોજિકા અલકાબેન ટંકારીયા, દુર્ગાવાહિની સહસંયોજિકા રીનાબેન નાનાણી, સ્વરૂપબા જાડેજા સહિતના અગ્રણી અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

જામનગરમાં શૌર્ય જાગરણ યાત્રાના પ્રથમ દિવસે જ બજરંગ દળમાં યુવાનોની ભરતી શરૂ થઈ છે, અને જામનગરની ભાગોળે આવેલા નારણપુર વિસ્તારમાં 60 જેટલા નવ યુવકોએ બજરંગ દળમાં ત્રિશુલ દીક્ષા સાથે જોડાઈ ધર્મ કાજે દેશ હિતમાં કાર્ય કરવાશપથ લીધા હતા.

આવતીકાલે જામનગર શહેરમાં ગુલાબ નગર અને શહેરના વિવિધ વિસ્તારોમાં શૌર્ય જાગરણ યાત્રા પ્રવેશશે. અને આવતી કાલે ૩ ઓકટોબર રાત્રે મયુર ટાઉનશિપ વિસ્તારમાં રાત્રે શોર્ય જાગરણ યાત્રા પહોંચશે ત્યારે તેમનું અદકેરું સ્વાગત કરવા માટેનું પણ સ્થાનિકો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં શૌર્ય જાગરણ યાત્રામાં ખાસ રથનું પૂજન અર્ચન થશે અને વિશ્વ ખ્યાતિ મેળવેલ શ્રી રાજ શક્તિ રાસ મંડળ વનરાજસિંહ ગોહિલની ટીમ સાથે સાંસ્કૃતિક રાસ ગરબાની રમઝટ બોલાવશે.

આગામી તા.4 ઓકટોબરે વિશ્વ હિન્દુ પરિષદની શૌર્ય જાગરણ યાત્રા મયુર ટાઉનશિપ થી પ્રસ્થાન કરી રણજીતસાગર રોડ પવનચક્કી વિસ્તારમાં ફરી જૂની જેલ, શંકર ટેકરી વિસ્તાર, ઉદ્યોગ નગર વિસ્તારમાં આવેલા સોનલ માતાના મંદિરે બપોરે પહોંચશે ત્યારબાદ સાંજે ગોકુલ નગર, પાણાખાણ, સ્વામી વિવેકાનંદ કિડિટ કો-ઓપરેટીવ સોસાયટી પાસે, હરિયા કોલેજ થઈ, સત્યમ કોલોની રોડ, આઇઓસી કોલોની, એમ્યુઝમેન્ટ પાર્ક થઈ રણજીત નગર વિસ્તારમાંથી શંકર ટેકરી યાત્રા પહોંચશે જ્યાં શંકર ટેકરી વલ્લભનગર વાલ્મિકી વાસમાં સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ખ્યાતિ પ્રાપ્ત રાસ મંડળીનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે.

જામનગરમાં આવી પહોંચી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળની શૌર્ય જાગરણ યાત્રા : ઠેર ઠેર સ્વાગત 3 - image

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની શૌર્ય જાગરણ યાત્રા અંતિમ પડાવમાં 5 ઓક્ટોબરે શંકર ટેકરી, વલ્લભ નગર, વાલ્મીકી વાસથી પ્રસ્થાન થઈ ખોડીયાર કોલોની ખોડીયાર મંદિરેથી શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રસ્થાન કરશે અને રાત્રે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યાત્રા પહોંચશે જ્યાં ભવ્ય લોક ડાયરા સાથે શૌર્ય જાગરણ યાત્રા જામનગર મહાનગરમાં સંપન્ન થશે. જામનગરમાં 5 ઓકટોબર 2023ના ગુરૂવારે રાત્રે 9.00 કલાકે સાંગણા વાળા મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 રમજુ બાપુ, શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મચાર્ય 108 શ્રીકૃષ્ણમણિજી મહારાજ, કોઠારી સ્વામી શ્રી ચતુર્ભુજદાસજી, દ્વારકાવાળા પ.પૂ.ગોવિંદ પ્રસાદ દાસજી, પૂ.પા.ગૌ.વલ્લભરાયજી મહોદય, અખિલેશવરાનંદજી, યમુના નાથજી મહારાજ, હરીબાપુ, કિશનભાઇ નારોલા, રૂતેશ્વરી દેવીજી સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં ભવ્ય ધર્મ સભા યોજાશે, અને જાણીતા હાસ્ય કલાકાર માયાભાઈ આહીર, લોકગાયિકા પુનમબેન ગોંડલીયા, રાજુભાઈ સાકરીયા અને ગંભીરભાઈ આહીર સહિતના કલાકારો સજીંદાઓની ટીમ સાથેનો ભવ્ય લોક ડાયરો યોજાશે. આ લોક ડાયરામાં ખાસ અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા ગુજરાતના યુવા અધ્યક્ષ રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (રીબડા) સહિત સામાજિક, ધાર્મિક અને રાજકીય ક્ષેત્રના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.

જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની શૌર્ય જાગરણ યાત્રાને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિશ્વભરમાં વસતા હિન્દુઓ અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી ઐતિહાસિક શૌર્યવિરોની ગાથા આજના યુવા વર્ગમાં પ્રસરે અને યુવાનોનું શૌર્ય જાગૃત થાય તે હેતુથી રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનજી સાથેના શૌર્ય જાગરણ રથને રંગોળી, રાસગરબાની રમઝટ બોલાવી આવકાર સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. જામનગરમાં આ યાત્રામાં ધર્મ પ્રેમીઓને જોડાવા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા આહવાન પણ કરવામાં આવ્યું છે.


Google NewsGoogle News