જામનગરની સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઘુસી આવેલા બે શખ્સોએ હંગામો મચાવી સબ રજિસ્ટ્રારને ધાકધમકી આપી

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
જામનગરની સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઘુસી આવેલા બે શખ્સોએ હંગામો મચાવી સબ રજિસ્ટ્રારને ધાકધમકી આપી 1 - image


Jamnagar News : જામનગરની સબ રજીસ્ટ્રાર કચેરીમાં ફરજ બજાવતા સબ રજિસ્ટ્રારને ગઈકાલે ચાલુ ફરજ દરમિયાન બે શખ્સોએ ધસી આવી પોતાના પરિવાર સામે દસ્તાવેજ અને રેકોર્ડમાં છેડછાડ સંબંધેની ફરિયાદ કરવા સંદર્ભે ધાકધમકી આપી ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે.

 આ ફરિયાદ અંગેના બનાવની વિગતે એવી છે કે મૂળ જૂનાગઢના વતની અને હાલ જામનગરમાં વાલકેશ્વરી નગરી વિસ્તારમાં રહેતા અને જામનગરની સરૂ સેક્શન રોડ પર આવેલી સબ રજિસ્ટ્રારની કચેરીમાં સબ રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા હર્ષ દિલીપભાઈ પરમાર નામના અધિકારીએ જામનગરના સીટી બી.ડિવિઝન પોલીસમાં પોતાની ફરજમાં રૂકાવટ કરવા અંગે અને ઓફિસમાં ઘુસી આવી હંગામો મચાવી અધિકારીને ગાળો ભાંડવા અંગે જામનગરના અશોક પરમાર અને નરસિંભાઈ ચાવડા સામે ફરિયાદ નોંધાવી છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર બંને આરોપીઓ ગઈકાલે પોતાની ફરજ પર હતા. જે દરમિયાન સરકારી કચેરીમાં ધસી આવ્યા હતા અને હંગામો મચાવ્યા પછી આરોપી અશોક પરમાર કે જેના સગા તેમજ આરોપી નરસિંભાઈ ચાવડાના પુત્ર ભાવિન ચાવડા વિરુદ્ધ બનાવટી દસ્તાવેજ અને સરકારી રેકર્ડમાં ચેડા બાબતેની ફરિયાદ કરી હતી. જેનું મનદુઃખ રાખીને કચેરી આવી બંને એ ગઈકાલે હંગામો મચાવ્યો હતો, જેથી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. 


Google NewsGoogle News