જોડીયા તાલુકાના આણદા ગામમાં દૂધના પૈસાની લેતી દેતીના મામલે બે ખેડૂત બંધુઓ પર હુમલો
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના આણદા ગામમાં રહેતા બે ખેડૂત બંધુઓ ઉપર પૈસાની લેતી દેતી ના મામલે બે ભરવાડ શખ્સોએ હુમલો કરી દીધો હતો, અને લોહી લુહાણ કર્યા હતા. જે હુમલાખોર ભાઈઓને જોડીયા પોલીસે તુરંત ઝડપી લીધા છે.
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના આણદા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા દીપુભા લખુભા પરમાર નામના ૫૮ વર્ષના ખેડૂતે પોતાના માથા ભાગે હાથમાં પહેરવાના કડા વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખવા અંગે તે જ ગામમાં રહેતા મયુરભાઈ મોમભાઈ ઝપડા અને તેના ભાઈ કાનાભાઈ મોમભાઈ ઝાપડા સામે ફરિયાદ નોંધાવી છે.
પોતાને બચાવવા માટે વચ્ચે પડેલા પોતાના નાનાભાઈ કનુભાને પણ આરોપીએ માર માર્યાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. આ બનાવ અંગે જોડીયા ના પોલીસ હેડ કોન્સ્ટેબલ એન.એમ. ભીમાણીએ ગુનો નોંધી બંને આરોપી બંધુઓને તુરંત ઝડપી લીધા હતા.
ફરિયાદી ખેડૂત બંધૂઓએ આરોપી પાસેથી દૂધ વેચાતું લીધું હતું,જેના 14 દિવસના હિસાબની લેતી દેતી ના મામલે ઝઘડો થયા પછી આ હુમલો કરી દેવાયાનું પોલીસમાં જાહેર થયું છે.