જામનગરમાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ જીવન ટૂંકાવી લેવાનાં બે કિસ્સા બનતા અરેરાટી
Jamnagar Suicide Case : જામનગર શહેરમાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેવાના બે કિસ્સા બન્યા છે. શહેરના નાગરપરા વિસ્તારમાં રહેતા એક એસટી કંડકટરના 23 વર્ષના પુત્રએ બીમાર પડ્યા પછી માનસિક વિકૃતિ આવી જતાં ગળાફાંસો ખાઈ લઇ આપઘાત કરી લીધો છે. જ્યારે જામનગરમાં ગોકુલનગર પાણાખાણમાં રહેતા પ્રાંતિય યુવાને અગમ્ય કારણસર આપઘાત કરી લીધો છે.
જામનગરમાં નાગરપરા શેરી નંબર-2 માં રહેતા અને કંડકટર તરીકે નોકરી કરતા જાદવજીભાઈ અમૃતલાલ પંચમતીયા નામના 23 વર્ષીય પુત્ર ઉમંગ જાદવજીભાઈ પંચમતીયાએ ગઈકાલે પોતાના ઘેર બારીમાં દુપટ્ટો બાંધી ગળા ફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે જાદવજીભાઈ અમૃતલાલ પંચમતીયાએ પોલીસને જાણ કરતાં સિટી એ. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ બનાવના સ્થળે પહોંચી ગયા હતા અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસમાં જાહેર કરાયા અનુસાર છેલ્લા આઠ દિવસથી બીમાર રહેતો હતો અને બેચેન રહેતો હતો. દરમિયાન માનસિક વિકૃતિ આવી જતાં તેણે આપઘાત કરી લીધો હોવાનું પોલીસને જણાવ્યું છે.
આપઘાતનો બીજો કિસ્સો ગોકુલ નગર નજીક પાણીખાણ શેરી નંબર-2 માં બન્યો હતો. ત્યાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના વતની શ્રીકૃષ્ણ સાધુભાઈ કુશવાહા નામના 46 વર્ષના યુવાને રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની જીવન લીલા સંકેલી લીધી છે. આ બનાવ અંગે મૃતકની પુત્રી બસંતી દેવી શ્રી કૃષ્ણભાઈ કુશવાહાએ પોલીસને જાણ કરતાં સિટી સી. ડિવિઝનના એએસઆઈએ મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.