જામનગરના રેલ્વે સ્ટેશન નજીક ગઈ રાત્રે ટ્રેન હડફેટે ચડી જતાં અજ્ઞાત યુવાનનું કરુણ મૃત્યુ
image : Freepik
- મૃતકની ઓળખ કરવા રેલવે પોલીસ દ્વારા મૃતદેહને જી.જી.હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રખાવ્યો: વારસદારની શોધ ખોળ
જામનગર,તા.30 સપ્ટેમ્બર 2023,શનિવાર
જામનગરના રેલ્વે સ્ટેશન નજીક ગઈકાલે રાત્રે દસેક વાગ્યાના અરસામાં રેલવેના પાટા ઓળંગી રહેલા અજ્ઞાત યુવાનને પોરબંદર મુજફફર નગર ટ્રેનના એન્જિનની ઠોકર લાગી જતાં ગંભીર ઈજા થઈ હતી, અને બેશુદ્ધ બન્યો હતો.
જેને રેલ્વે પોલીસે લોહી નીતરતી હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો, જયાં ત્રણ કલાકની તબીબી સારવાર પછી તેનું મોડી રાત્રે મૃત્યુ નીપજ્યું હતું.
મૃતકના કોઈ વાલીવારસદાર મળ્યા ન હોવાથી અથવા તો તેની ઓળખ થઈ ન હોવાથી મૃતદેહને જામનગરની જી.જી.હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો છે.
રેલ્વે પોલીસ તેના વાલી વારસદારોને શોધવા માટે વધુ તપાસ ચલાવે છે. જેના કોઈ વાલી વારસદાર હોય તો રેલવે પોલીસના પોલીસ હેડ કોન્સ્ટેબલનો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.