જામનગરમાં વેપારીના મકાનમાંથી રૂપિયા 2.50 લાખની ચોરી
Jamnagar Theft Case : જામનગરના હિરજી મિસ્ત્રી રોડ પર રહેતા એક વેપારીના બંધ રહેણાંક મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને અંદરથી રૂપિયા અઢી લાખની રોકડ રકમની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં હિરજી મિસ્ત્રી રોડ પર એકતા એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમાં એક નંબરના બ્લોકમાં રહેતા અનિલભાઈ ગુરૂમુખદાસ દામા નામના 44 વર્ષના વેપારીએ ગત 13મી તારીખે રાત્રેથી 24 કલાકના સમયગાળા દરમિયાન પોતાના બંધ મકાનમાંથી કોઈ તસ્કરો રૂપિયા અઢી લાખની રોકડ રકમની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.
કોઈ તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યા પછી અંદર પ્રવેશ મેળવી લઇ કબાટમાં રાખેલી રકમ ઉઠાવી ગયા હતા. જે અંગે વેપારીએ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ બનાવના સ્થળે દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી છે.