જામનગર પાલિકા દ્વારા ગણપતિ વિસર્જન માટે નવા બે સ્થળોએ વિસર્જન કુંડ બનાવાયા

Updated: Sep 6th, 2024


Google NewsGoogle News
જામનગર પાલિકા દ્વારા ગણપતિ વિસર્જન માટે નવા બે સ્થળોએ વિસર્જન કુંડ બનાવાયા 1 - image


Ganesh Visharjan Jamnagar : જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રતિ વર્ષ મુજબ આ વખતે પણ ગણપતિજીની મૂર્તિઓને વિસર્જિત કરવા માટેના બે મોટા વિસર્જન કુંડ બનાવાયા છે. પ્રતિ વર્ષ જે વિસર્જન કુંડ બનાવાય છે, તે સ્થળે હાલ પાણી ભરેલા હોવાના કારણે સ્થળની બદલી કરવામાં આવી છે, અને એક વિસર્જનકુંડ જામનગર નજીક રણજીત સાગર રોડ પર સરદાર રિવેરા પાસે તૈયાર કરાયો છે, જ્યારે એક વિસર્જન કુંડ ખોડીયાર કોલોની સમર્પણ હોસ્પિટલ રોડ પર વિશાલ ઇન્ટરનેશનલ હોટલની પાછળના ભાગમાં તૈયાર કરાયો છે.

 સરકારની ગાઈડલાઈન મુજબ સમુદ્રમાં ગણપતિજીની મૂર્તિનું વિસર્જન નહીં કરવાના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી નાની મોટી અનેક પ્રકારની મૂર્તિઓનું વિસર્જન થઈ શકે તે માટેના મોટા બે વિસર્જન કુંડ બનાવાય છે.

જામનગર પાલિકા દ્વારા ગણપતિ વિસર્જન માટે નવા બે સ્થળોએ વિસર્જન કુંડ બનાવાયા 2 - image

 જામનગરના મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી, ડેપ્યુટી કમિશનર ઝાલા તેમજ સિટી ઈજનેર ભાવેશ જાની સહિતના અધિકારીઓની ટીમ દ્વારા શહેરના બંને સ્થળો પર બે વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં 50 મીટરની લંબાઈ, અને 20 મીટરની પહોળાઈ, તેમજ સાડા સાત ફૂટની એવરેજ ઊંડાઈ વાળા તૈયાર કરીને તેમાં મોટુ પ્લાસ્ટિક પાથરવામાં આવ્યું છે. જેમાં પાણીનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. જેનું લેવલ દરરોજ મેન્ટેઇન થાય તેની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

 સાથો સાથ વિસર્જન કુંડ પાસે ગણેશભક્તો પોતાની મૂર્તિ ટેબલ પર રાખીને અંતિમ પૂજા વગેરે કરી શકે, તે માટેની પણ વ્યવસ્થા ગોઠવાઈ છે. જ્યારે પૂજાની સામગ્રી એકત્ર કરવા માટેના મોટા બેરલ સહિતની સુવિધા પણ પ્રાપ્ત રખાઈ છે. લોકો રાત્રિના સમયે પણ ગણપતિની મૂર્તિનું વિસર્જન કરી શકે, તે માટે લાઇટિંગ, જનરેટર સહિતની સુવિધા અને પીવાના પાણી, પાર્કિંગ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે, અને પ્રત્યેક કુંડમાં મૂર્તિનું વિસર્જન કરવા માટે 10 થી 12 તરવૈયાની ટીમને પણ રાખવામાં આવી છે. જે સમગ્ર વ્યવસ્થાની દેખરેખ હિરેન સોલંકી અને તેમની ટીમ કરી રહી છે.


Google NewsGoogle News