જામનગરના કડિયાવાડ વિસ્તારમાં રાંદલ અંબિકા ગરબી મંડળમાં છઠ્ઠા નોરતે બાળકો દ્વારા સ્વસ્તિક રાસ રજૂ કરાયો
- સમગ્ર વિસ્તારની લાઈટ બંધ કરીને સ્વસ્તિક આકારમાં અગ્નિ પ્રજવલિત કરી વચ્ચે બાળકોએ રાસ રજૂ કર્યો
જામનગર,તા.21 ઓક્ટોબર 2023,શનિવાર
જામનગર ના કડિયાવાડ વિસ્તારના શ્રી રાંદલ અંબિકા ગરબી મંડળ દ્વારા પ્રતિ વર્ષ મુજબ આ વખતે પણ બાળકો દ્વારા સ્વસ્તિક અંગારા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું, અને સ્વસ્તિક આકારમાં જ્યોતિ પ્રજ્વલિત કરીને તેની વચ્ચે નાના બાળકોએ રાસ રમીને માતાજીની આરાધના કરી હતી. જે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
કડિયાવાડ વિસ્તારમાં પ્રાચીન સમયથી યોજાઈ રહેલી ગરબીમાં ગઈકાલે છઠ્ઠા નોરતે નાના બાળકો (ભાઈઓ) દ્વારા સ્વસ્તિક રાસ રજૂ કરવામાં આવ્યો હતો. ગરબી મંડળના સ્થળે મોટા કદનો સ્વસ્તિક દોરવામાં આવ્યો હતો, અને તેની ફરતે અંગારા મૂકવામાં આવ્યા હતા. સમગ્ર વિસ્તારમાં લાઈટો ઓફ કરી અંધાર પટ કરી દીધા પછી સ્વસ્તિકની જ્યોતિ પ્રગટાવવામાં આવી હતી, અને તે સ્વસ્તિકની પ્રજવલિત જ્યોતિની વચ્ચે 21 બાળકો દ્વારા રાસની રમઝટ બોલાવીને માતાજીની આરાધના કરવામાં આવી હતી.
આ રાસ રજુ કરતી સમયે સમગ્ર જામનગરની જનતાએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને બાળકોનો સ્વસ્તિક રાસ નિહાળ્યો હતો અને અભીભુત થયા હતા.