જામનગરની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે પકડી પાડેલી આંતરરાજ્ય તસ્કર ટોળકીએ લાલપુરના વધુ એક ધાર્મિક સ્થળમાં કરેલી ચોરી કબૂલી
જામનગર,તા.1 નવેમ્બર 2021,સોમવાર
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે 41 થી વધુ સ્થળેથી ચોરીની ઘટનાને અંજામ આપનાર આંતરરાજ્ય ગેંગને પકડી પાડી હતી, જેની રિમાન્ડ દરમિયાન તેઓએ લાલપુર પંથકમાં વધુ એક ધાર્મિક સ્થળમાં ચોરી કર્યાની કબૂલાત આપતાં તે અંગેની ફરિયાદ નોંધાવાઈ છે.
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે તાજેતરમાં જ દાહોદ જિલ્લાના ગરબાડાના રાકેશ જેનુંભાઈ ભુરીયા, અને લખમણ ચનુભાઈ ભૂરીયા સહિતની તસ્કર ગેંગને પકડી પાડી હતી. તેઓએ મધ્ય પ્રદેશ ગુજરાત સહિતના રાજયોમાં થી 41 થી વધુ ચોરી કર્યાની કબુલાત આપી હતી.
તેઓએ લાલપુર પંથકમાં વધુ એક ધાર્મિક સ્થળની ચોરી કબુલી છે. જેના અનુસંધાને લાલપુરમાં આવેલા ભલારા દાદા સ્થાનના સંચાલક દેવેન્દ્રભાઈ ખીમજીભાઈ ઓશવાળ મહાજને ઉપરોક્ત બંને તસ્કરો સામે ગત તારીખ 14.03.2021 ના રાત્રિના સમયે ધાર્મિક સ્થળમાથી રૂપિયા 70,000 ની કિંમતના ચાંદીના આભૂષણો તેમજ પાંચ હજાર રૂપિયાની દાનપેટીની રોકડ રકમ વગેરેની ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી છે. જે મામલે લાલપુર પોલીસ વધુ તપાસ ચલાવે છે.